ઈસ્લામાબાદ, તા. 24 : પાકિસ્તાનમાં ક્રિકેટના ક્રેઝમાં ઘટાડાથી પીસીબી હતાશ છે. આંતરરાષ્ટ્રીય મેચ હોય કે પછી પીએસએલ મેચ, મોટાભાગની મેચમાં મેદાન ખાલી હોય છે. જેનાથી પાકિસ્તાની બોર્ડને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ પરેશાનીમાંથી બહાર આવવા પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચેની ટેસ્ટ મેચની ટિકિટ સસ્તામાં વેચવામાં આવી હતી. તેમ છતાં મેદાન ખાલી રહ્યું હતું. હવે પીસીબીએ ટેસ્ટ મેચના બાકી રહેલા દિવસો માટે મફત પ્રવેશની જાહેરાત કરી દીધી છે.

પીસીબીએ પાકિસ્તાન અને બાંગલાદેશ વચ્ચેની મેચ માટે ટિકિટ 50 રૂપિયા રાખી હતી. જે 15 ભારતીય રૂપિયા થાય છે. તેમ છતાં પહેલી ટેસ્ટ દરમિયાન રાવલપિંડીનાં મેદાનમાં દર્શક આશા કરતાં ઓછા રહ્યા હતા. હવે મેદાન ઉપર ચાહકોને બોલાવવા માટે અંતિમ બે દિવસ ટિકિટ `ફ્રી’ કરી દીધી છે. સામાન્ય રીતે પુરુષ ઇન્ટરનેશનલ મેચમાં આવી સ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે. વધુમાં પીસીબીએ આશ્વાસન આપ્યું છે કે શરૂઆતમાં જે લોકોએ ટિકિટ લીધી હતી તેઓને રિફંડ આપવામાં આવશે.

