Pok Rawalakot Protests: PoK માં દેખાવકારીઓ પર ગોળીબારનો આક્ષેપ, 17 લોકોના મોતનો દાવો, તણાવ વધ્યો

Arati Parmar
4 Min Read

Pok Rawalakot Protests: પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (પીઓજેકે)માં સોમવારે દેખાવકારીઓ પર પાકિસ્તાની સેનાએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધી 17 લોકોના મોતની પુષ્ટિ થયાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે અનેક લોકો ગુમ હોવાનું પણ જણાવાયું છે. મૃતકોની સંખ્યામાં વધુ વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ દેખાવકારીઓએ ગોળીબારની કડક નિંદા કરીને આંતરરાષ્ટ્રીય સમુદાય, મુસ્લિમ ઉમ્મા અને સંયુક્ત રાષ્ટ્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. દેખાવો શરૂ થયા બાદથી છેલ્લા અંદાજે બે મહિનામાં પાકિસ્તાની સેનાના ગોળીબારમાં કુલ 91 લોકોના મોત થયાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

પાકિસ્તાની સેનાએ કથિત રીતે તે સમયે ગોળીબાર કર્યો જ્યારે જોઇન્ટ અવામી એક્શન કમિટી (JAAC) અને અધિકારીઓ વચ્ચેની વાતચીત નિષ્ફળ ગયા બાદ હજારો લોકો મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ ઘટના બાદ છેલ્લા 52 દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની હોવાનું જણાવાયું છે. દેખાવકારીઓએ એક દિવસ પહેલાં અટકાયતમાં લેવાયેલા લોકોને મુક્ત કરવાની, તેમના વિરુદ્ધ નોંધાયેલા કેસ પાછા ખેંચવાની અને પોતાની અન્ય માંગણીઓ સ્વીકારવાની માંગ કરી હતી.

- Advertisement -

પીઓજેકેમાં દેખાવકારીઓ પર અંધાધૂંધ ફાયરિંગનો દાવો

રાવલકોટની સ્થિતિ અંગે માહિતી આપતાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અકીલ ભાઈ, જેમણે પોતાને ઘટનાના પ્રત્યક્ષદર્શી તરીકે રજૂ કર્યા છે, તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાય અને મીડિયા સંસ્થાઓને આ ઘટનાની નોંધ લેવા અપીલ કરી છે. તેમના જણાવ્યા મુજબ જાનહાનિ એટલી મોટી હતી કે દેખાવકારીઓ તેમજ આપાતકાલીન સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ પણ ગભરાઈ ગયા હતા.

- Advertisement -

અકીલ ભાઈએ એક વિડિયો સંદેશમાં કહ્યું કે, “મિત્રો, હાલાત ખૂબ જ ખરાબ થઈ ગયા છે. રાવલકોટ મૃતદેહો અને ઘાયલ લોકોથી ભરાઈ ગયું છે. ઈશ્વરના નામે અમારી સાથે ઊભા રહો. હું ખૂબ મુશ્કેલીથી જીવ બચાવીને બહાર આવ્યો છું. હવે મને મારા જીવની ચિંતા નથી. એટલા બધા ભાઈઓને શહીદ થતા જોયા પછી હું હાથ જોડીને અપીલ કરું છું કે કૃપા કરીને તમારો અંતરાત્મા જાગૃત કરો. જે પણ આંતરરાષ્ટ્રીય મીડિયા આ જોઈ રહ્યું હોય તે અમારો સાથ આપે. અમે શાંતિપ્રિય લોકો છીએ. અસંખ્ય મૃતદેહો અને અસંખ્ય ઘાયલો છે. મૃતદેહો ઉઠાવતા ઉઠાવતા અમારા ખભા થાકી ગયા છે.”

- Advertisement -

તેમણે વધુમાં કહ્યું કે, “એક વ્યક્તિ આવ્યો અને તેણે પોતાનો રૂમાલ નિચોવ્યો, જેમાંથી જે ટપક્યું તે કાશ્મીરીઓનું લોહી હતું. અહીં સ્થિતિ અત્યંત ગંભીર છે. મેં મારી આંખો સામે લોકોને મરતા અને શહીદ થતા જોયા છે. ખરેખર હાલાત ખૂબ જ ખરાબ થઈ ગયા છે.”

આંતરરાષ્ટ્રીય મીડિયા સામે મૌનનો આક્ષેપ

અકીલ ભાઈએ આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ અને માનવાધિકાર સંગઠનોને હસ્તક્ષેપ કરવાની અપીલ કરતાં કહ્યું કે સ્થાનિક સંસાધનો વધતી જાનહાનિને સંભાળવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમણે કહ્યું, “આંતરરાષ્ટ્રીય મીડિયા અને સમગ્ર દુનિયાને ટેગ કરો, આ સંદેશ ફેલાવો. અમારી પાસે એમ્બ્યુલન્સ અને વાહનોની અછત છે. લોકો પોતાના ઘાયલ સાથીઓને જાતે લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને રસ્તાઓ લોહીથી લથબથ છે.”

આ દરમિયાન કેટલાક વર્તુળોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે આંતરરાષ્ટ્રીય મીડિયામાં આ ઘટનાને પૂરતું સ્થાન મળતું નથી. ફર્સ્ટ પોસ્ટના વરિષ્ઠ પત્રકાર શ્રીમોય તાલુકદારે સોશિયલ મીડિયા પર લખ્યું કે પાકિસ્તાની સેનાની કાર્યવાહી અંગે પાકિસ્તાની મીડિયા મૌન છે અને પશ્ચિમી મીડિયા, ખાસ કરીને દક્ષિણ એશિયા વિષય આવરી લેતી કેટલીક આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાઓની પ્રતિક્રિયા પણ મર્યાદિત રહી છે.

Share This Article