નવી દિલ્હી, તા. 9: લાંબા સમયથી વણથંભ્યા જારી રશિયા-યુક્રેનનાં યુદ્ધ મધ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23મી ઓગસ્ટે શાંતિનાં અગ્રદૂત બનીને યુક્રેનનાં પ્રવાસે જવાનાં છે. સરકારી સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે વડાપ્રધાનની આ યાત્રાનો ઉદ્દેશ બે વર્ષથી ચાલતા યુદ્ધમાં શાંતિપૂર્ણ સમાધાનની ગેરેન્ટી આપવાનો છે. આ પહેલા જુલાઈમાં મોદી મોસ્કોમાં ભારત-રશિયાનાં વાર્ષિક શિખર સંમેલન માટે ગયા ત્યારે રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેમણે કહેલું કે, આ વિવાદનું સૈન્ય સમાધાન સંભવ નથી.

બોમ્બ અને બંદૂક વચ્ચે શાંતિવાર્તા સફળ થઈ શકે નહીં. હવે મોદી ચાલુ માસે જ યુક્રેનમાં પણ આવો જ શાંતિનો સંદેશો લઈને જશે. રશિયાએ હુમલો કર્યા પછી દુનિયાનાં અનેક દેશોનાં નેતાઓએ યુક્રેનમાં કીવની યાત્રા કરી છે. જો કે તેમાં પણ યુદ્ધનું કોઈ સમાધાન મળી આવ્યું નહોતું. હવે પ્રધાનમંત્રી મોદી પાસેથી આશા રાખવામાં આવે છે કે, તેઓ પોતાનાં કૂટનૈતિક પ્રભાવથી આ યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરશે.

