Russia Strike On Kyiv Ukraine: યુક્રેનની રાજધાની કીવ નજીક બુચા જિલ્લામાં રશિયાએ મોટો હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 37 લોકોનાં મોત થયા છે અને 50 રહેણાંક ઇમારતોને નુકસાન થયું છે. સ્થાનિક પ્રાદેશિક સૈન્ય વહીવટના વડા તિમુર તકાચેન્કોએ શનિવારે જણાવ્યું કે હુમલાને કારણે ભીષણ આગ લાગી હતી, જે અનેક ઘરો અને એક રેસ્ટોરાં સુધી ફેલાઈ ગઈ હતી. તેના કારણે જાનમાલનું ભારે નુકસાન થયું છે. રશિયા તરફથી યુક્રેનમાં સતત હુમલા થઈ રહ્યા છે. શનિવારનો હુમલો આ વર્ષના સૌથી મોટા હુમલાઓમાંનો એક છે. રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી સતત યુદ્ધ ચાલી રહ્યું છે.
યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે કીવ પર સતત ત્રીજા દિવસે રશિયાના હવાઈ હુમલા થયા છે. આ હુમલાઓથી યુક્રેનની રાજધાનીની અર્થવ્યવસ્થા ઠપ થઈ ગઈ છે અને સામાન્ય લોકોનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ તેને ભયાનક સ્થિતિ ગણાવી છે અને લોકોની બાજુમાં વિસ્ફોટકો સંગ્રહિત કરનારાઓની ગંભીર બેદરકારી ગણાવી છે.
કીવમાં હુમલાનો ભોગ બનેલા ગોદામની તપાસ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કીએ એક નિવેદનમાં જણાવ્યું કે માયલા ગામમાં એક ગોદામ પર હુમલો થયો હતો, ત્યારબાદ વિસ્ફોટ થયો. યુક્રેનના કાયદા હેઠળ સામાન્ય લોકોના ઘરોની નજીક દારૂગોળો રાખવો પ્રતિબંધિત છે. આવી સ્થિતિમાં આ મામલે ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમણે આવું થવા દીધું છે, તેમને તેમના નિર્ણય માટે જવાબદાર ઠેરવવામાં આવશે.
Since last evening, efforts have been underway in the village of Myla near Kyiv to deal with the aftermath of a Russian drone strike. On-site coordination centers have been set up to assist people. All necessary services are deployed. State Emergency Service units are on the… pic.twitter.com/mQU2DHZYU7
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 29, 2026
પ્રાદેશિક વડા તિમુર તકાચેન્કોએ જણાવ્યું કે મૃતકોમાંથી 34 લોકો એ જ કેર હોમમાં રહેતા હતા, જ્યાં વિસ્ફોટ થયો હતો. યુક્રેનના PM સેરહી કોરેત્સ્કીએ હુમલાનો ભોગ બનેલા ગોદામ અંગે કોઈ માહિતી આપી નહોતી, પરંતુ જુલાઈમાં કીવના બહારના વિસ્તારમાં વિશ્નેવેમાં થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. તે હુમલામાં દારૂગોળાના ડેપોને નિશાન બનાવવામાં આવ્યો હતો.
રશિયાના સતત ત્રીજા દિવસે હુમલા
રશિયન સેનાએ ગુરુવારથી જ સમગ્ર યુક્રેનમાં દિવસ-રાત ડ્રોન હુમલા કરી રહી છે. યુક્રેનના અધિકારીઓનું કહેવું છે કે રશિયા મિસાઇલોનો જથ્થો એકત્ર કરે છે અને થોડા દિવસોના અંતરે મોટા હુમલા કરે છે, જેથી મોટી સંખ્યામાં હુમલા કરીને યુક્રેનની રક્ષા પ્રણાલીને થકવીને નબળી બનાવી શકાય.
પ્રાદેશિક વહીવટના વડા ઓલેક્ઝાન્ડર પ્રોકુદિને સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં જણાવ્યું કે શનિવારે દક્ષિણ ખેરસોન વિસ્તારમાં રશિયાના હુમલામાં બે લોકોનાં મોત થયા અને અન્ય 27 લોકો ઘાયલ થયા. યુક્રેને પણ તાજેતરના અઠવાડિયાઓમાં રશિયાના સૈન્ય ઉદ્યોગો અને ઊર્જા સુવિધાઓ પર હુમલા વધાર્યા છે.

