પેરિસ, તા. 14 (પીટીઆઈ): કરોડો દેશવાસીની આશાને લાગેલા મોટા ઝાટકામાં કોર્ટ ઓફ આર્બિટેશનમાં ભારતીય પહેલવાન વીનેશ ફોગાટની અરજી ફગાવી દેવાઈ હતી. વિનેશને પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલ મેચ અગાઉ નાટકીય ઢબે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ નિર્ણય સામે કોર્ટ ઓફ આર્બિટેશનમાં અરજી કરવામાં આવી હતી. આમ તો કોર્ટનો નિર્ણય 16મી ઓગસ્ટે આવવાનો હતો પરંતુ બે દિવસ અગાઉ જ ચુકાદો આપી દેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે, વિનેશને રજત ચંદ્રક મળશે નહીં. એક પછી એક મહિલા પહેલાવાનોને પરાસ્ત કરતી વિનેશ પેરિસ ઓલિમ્પિકની રેસલિંગની 50 કિ.ગ્રા. શ્રેણીની ફાઈનલમાં પહોંચી ગઈ હતી.

પરંતુ મેચ પહેલાં શ્રેણીની જ્યારે તેનું વન કરવામાં આવ્યું ત્યારે નિયમ વજન કરતાં 100 ગ્રામ વધુ નીકળતાં તેને ગેરલાયક જાહેર કરાઈ હતી. આ ચુકાદાને પડકારવામાં આવતાં એવી આશા જાગી હતી કે અપીલ બાદ તેને રજત ચંદ્ર મળશે પરંતુ આજના કોર્ટના નિર્ણયને પગલે એ આશા પણ ધોવાઈ ગઈ હતી. એક નિવેદનમાં ભારતીય ઓલિમ્પિક એસોસીએશન (આઈઓઁએ)ના અધ્યક્ષ પી.ટી. ઊષાએ યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબલ્યુડબલ્યુ) અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી) વિરુદ્ધની કુશ્તીબાજ વિનેશ ફોગાટની અરજીને સીએએસ ખાતે રદ કરવાના નિર્ણયને આઘાતજનક અને નિરાશાપૂર્ણ ગણાવ્યો હતો. સીએએસ દ્વારા અપાયેલા ચુકાદાની વિનેશને વ્યક્તિગત તેમજ રમત સમુદાયને મોટા પ્રમાણમાં અસર થશે એમ આઈઓએએ જણાવ્યું હતું.

