નવી દિલ્હી, તા. 28 : યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમીર ઝેલેંસ્કીએ જણાવ્યું છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા સાથે યુદ્ધ ખતમ કરાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનના રાષ્ટ્રપતિએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઈર્ન્ટવ્યૂમાં કહ્યું હતું કે, હવે બીજી યુક્રેન શાંતિમંત્રણા દિલ્હીમાં યોજાય, તેવી અમારી ઈચ્છા છે, મોદી ધારે તો તેવું કરી શકે છે. મોદી વસ્તી અને અર્થવ્યવસ્થાની દૃષ્ટિએ એક ઘણા મોટા દેશના વડાપ્રધાન છે.
કોઈ પણ સંઘર્ષને રોકવામાં ભારત અને મોદીની મોટી અસર થઈ શકે છે, તેવું ઝેલેંસ્કી બોલ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રાધ્યક્ષે કહ્યું હતું કે, બ્રિકસ બેઠક નિષ્ફળ થઈ ગઈ, તેમાં એકતાનો અભાવ દેખાયો, બ્રાઝિલના નેતા ન પહોંચ્યા. બ્રિકસ બેઠકમાં અનેક દેશોના નેતાઓએ હાજરી આપી હતી, પરંતુ મોટાભાગના એવા હતા જેમના પર પુતિનને ભરોસો નથી, તેવું ઝેલેંસ્કીએ જણાવ્યું હતું. યુક્રેની રાષ્ટ્રપતિએ મહત્ત્વનાં નિવેદનમાં કહ્યું હતું કે, આ યુદ્ધમાં તટસ્થ રહેવું અર્થ વગરનું છે.

