અમદાવાદ, તા. 28 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજકોટ ગેમઝોન કાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક રિપોર્ટના આધારે સાત અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે સીટનો રિપોર્ટ આવી ગયા બાદ તુરત જ ચાર્જશીટ મુકવામાં આવશે, રાજકોટ ગેમઝોનના માલિક અને મુખ્ય આરોપી પ્રકાશ જૈનના માતા-પિતા આજે ગાંધીનગર એફએસએલ ઓફિસે ડીએનએ ટેસ્ટ માટે આવ્યા હતા. તેમના ડીએનએ ટેસ્ટ મેચ થઇ જતાં પ્રકાશ જૈનનું પણ મૃત્યુ થયું હોવાનું ખૂલ્યું છે.

આજે ગાંધીનગર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં હર્ષ સંઘવીએ કહ્યું કે, 27 મૃતકમાંથી 20 મૃતકના ડીએનએ ટેસ્ટ મેચ થતાં તેમના પરિવારોને મૃતકની લાશ સોંપવામાં આવી છે, જ્યારે સાત મૃતકોના ડીએનએ ટેસ્ટ હજુ બાકી છે, જે આવતીકાલ સુધીમાં પૂર્ણ થશે, ત્યારબાદ આવા મૃતકોના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે. તેમણે વધુમાં જમાવ્યું હતું કે, અત્યાર સુધી છ વ્યક્તિના નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગેમઝોનમાં બનેલી આગની ઘટના સમયે 33 જેટલા કર્મચારી ત્યાં ફરજ બજાવી રહ્યા હતા. જો કે, તેમાંથી ગેમઝોનના માલિક પ્રકાશ જૈનની કોઇ ભાળ નહીં મળવાના કારણે તેમના માતા-પિતા આજે ગાંધીનગર એફએસએલની ઓફિસ ખાતે ડીએનએ ટેસ્ટ માટે આવ્યા હતા. તેમના ડીએનએ ટેસ્ટ બાદ મૃતકોના હાડકા સાથે સરખાવવામાં આવ્યા હતા. ડીએનએ મેચ થતાં પ્રકાશ જૈનનું પણ મૃત્યુ થયું હોવાનું ખૂલ્યું છે. એક પ્રશ્નના પ્રત્યુત્તરમાં સંઘવીએ જણાવ્યું કે, કોઇના પણ રાજીનામાની વાત નથી, આ બધી અફવા છે. તેમણે એમ પણ કહ્યું કે, મારા કાર્યકાળ દરમ્યાન બનેલી મોરબી અને વડોદરાની ઘટના દરમ્યાન તુરત જ ચાર્જશીટ દાખલ કરાઇ હતી અને સરકાર દ્વારા કોઇપણ ચમર-બંદીને છોડવામાં આવ્યા નથી.

