PoK Protests Supplies Blocked: પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. પીઓકેના લોકો બે અઠવાડિયા કરતાં વધુ સમયથી પોતાની માંગણીઓને લઈને રસ્તા પર છે. શાહબાઝ શરીફની સરકાર અને સૈન્ય વડા અસીમ મુનીર કોઈ પણ ભોગે આ વિરોધને દબાવવાના પ્રયાસમાં છે. સામાન્ય લોકો પર બળપ્રયોગ અને ગોળીબાર કર્યા પછી પાક સરકાર પર આક્ષેપ છે કે તે પ્રદર્શનકારીઓને નમાવવા માટે ખાવા-પીવાની વસ્તુઓ, બળતણ અને દવાઓનો પુરવઠો રોકી રહી છે.
અહેવાલ મુજબ, સ્થાનિક લોકો, ટ્રક ચાલકો અને વિપક્ષી નેતાઓએ સ્થાનિક માધ્યમોને જણાવ્યું છે કે જરૂરી સામાન લઈ જતા વાહનોને પીઓકેના પ્રદર્શનોથી પ્રભાવિત વિસ્તારમાં પ્રવેશતા રોકવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની સત્તાવાળાઓ કોઈ પણ પ્રકારની નાકાબંધી હોવાનો ઇનકાર કરે છે પરંતુ સ્થાનિક લોકો પરથી ખબર પડે છે કે પરિસ્થિતિ બદથી બદતર થઈ રહી છે.
સામાન્ય જીવન પાટા પરથી ઊતરી ગયું
જોઇન્ટ અવામી એક્શન કમિટી (જેએએસી) ની આગેવાની હેઠળ ચાલી રહેલા શટડાઉન (બંધ) ના કારણે પહેલાથી જ પીઓકેમાં સામાન્ય લોકો સામે સંકટ છે. સરકારની નાકાબંધીના કારણે રોજબરોજની વસ્તુઓની અછત વધુ ગંભીર બની ગઈ છે. એવામાં પીઓકેમાં લોકોની રોજિંદી જિંદગી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે અને સરકાર સામે ગુસ્સો વધી રહ્યો છે.
ઘણા વિસ્તારમાં ન માત્ર ખાવા-પીવાની વસ્તુઓ પરંતુ બળતણની પણ ભારે અછત છે. પુંછ અને મુઝફ્ફરાબાદ જેવા મોટા જિલ્લાઓમાં અવારનવાર પેટ્રોલ પંપ બંધ જોવા મળી રહ્યા છે. વાહન ચાલકોને કાળા બજારમાંથી બળતણ ખરીદવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. વળી ઇન્ટરનેટ ન હોવું લોકોની મુશ્કેલીને વધુ વધારી રહ્યું છે.
મુઝફ્ફરાબાદમાં લોકોને જરૂરી વસ્તુઓ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. મને તો દવા પણ મળી શકતી નથી કારણ કે મોટાભાગની દવાની દુકાનો બંધ છે. હું બધી જગ્યાએ દવા શોધી રહ્યો છું પરંતુ મોટી દુકાનો પણ બંધ છે. સ્થાનિક રહેવાસી મુહમ્મદ મસ્કીન
‘લોટ પણ નથી મળી રહ્યો’
નીલમ જિલ્લાના રહેવાસી અલિફ દીને જણાવ્યું કે હડતાળ શરૂ થયા પછીથી વિસ્તારના લોકોને રાશન નથી મળી રહ્યું. હું પોતે ૧૫ દિવસથી ડેપોમાં પૈસા જમા કરાવી રહ્યો છું પરંતુ મને હજુ સુધી લોટ નથી મળ્યો. સ્થાનિક બજારોમાં જે લોટ મળી રહ્યો છે, તેની કિંમત તાજેતરના દિવસોમાં ખૂબ વધી ગઈ છે.
અબ્બાસપુર અને રાવલકોટના રહેવાસીઓએ પણ સંકટની વાત સ્વીકારી છે. અહીંના રહેવાસીઓનું કહેવું છે કે આ અછતનું કેટલુંક કારણ જેએએસીની હડતાળ છે, જેના લીધે આખા વિસ્તારમાં દુકાનો અને બજારો બંધ કરવા પડ્યા છે. બીજી તરફ જરૂરી સામાન લઈ જતા ટ્રકોને સત્તાવાળાઓ દ્વારા રોકવાના પ્રયાસે પણ સંકટને ગંભીર બનાવી દીધું છે.
મેં પોલીસને ખૂબ વિનંતી કરી કે મને ઘરે ખાવા-પીવાનું લઈ જવા દો પરંતુ પોલીસને કોઈ પરવા નહોતી. તેમણે કહ્યું કે તમે ખાવા-પીવાનું અને દવાઓ ફેંકી દેશો તો તમને જવા દેવામાં આવશે. આ વલણે પરિસ્થિતિને નાજુક બનાવી દીધી છે. – નવીદ (સ્થાનિક રહેવાસી)
પીટીઆઈએ લગાવ્યા ગંભીર આક્ષેપો
પાકિસ્તાનની મુખ્ય વિપક્ષી પાર્ટી પીટીઆઈએ પાકિસ્તાની સત્તાવાળાઓ પર પીઓકેમાં જરૂરી સામાન પહોંચતો રોકવાનો આક્ષેપ લગાવ્યો છે. પાર્ટીએ કહ્યું છે કે આઝાદ પટ્ટન સહિત ઘણા રસ્તાઓ પર મુસાફરોને રોકવામાં આવી રહ્યા છે. તેમને ખાવાનું, પીવાનું પાણી અને દવાઓ નથી મળી શકતી. આ પ્રકારના પ્રતિબંધો એક ખરાબ દાખલો બેસાડે છે.
પીઓકેમાં તાજેતરની અશાંતિની શરૂઆત વિધાનસભાની તે ૧૨ બેઠકોને લઈને થયેલા વિવાદથી થઈ છે, જે કાશ્મીરથી આવેલા શરણાર્થીઓ માટે અનામત છે. સ્થાનિક જૂથોનો આક્ષેપ છે કે ઇસ્લામાબાદ આ બેઠકોનો ઉપયોગ ચૂંટણીઓને પ્રભાવિત કરવા અને પોતાની વાત માનનારી સરકારો બનાવવા માટે કરે છે.
ભડકી શકે છે વિરોધ
પાકિસ્તાન સરકારે જેએએસી પર પ્રતિબંધ મૂકી દીધો છે પરંતુ તેની આગેવાની હેઠળનું આંદોલન જોર પકડતું જાય છે. ખાસ કરીને રાવલકોટમાં મોટા પાયે પ્રદર્શનો થયા છે. પીઓકેની કથિત રાજધાની મુઝફ્ફરાબાદમાં પણ હજારો લોકોએ માર્ચ કાઢીને આંદોલન તેજ કરવાની ચેતવણી પાકિસ્તાની સરકારને આપી છે.

