Zadeshwar Nilkantheshwar Temple: ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મંદિર ઘાટ બંધ રહેતા જળ વિના પરત ફર્યા કાવડયાત્રીઓ: લીલા તોરણે પાછા ફરતા શિવભક્તોમાં રોષ
By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ
ભરૂચ:
ઉત્તર ભારતમાં શરૂ થયેલ શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન શિવ પ્રત્યે અતૂટ શ્રદ્ધા સાથે બેન્ડ-બાજા અને હર હર મહાદેવના જયઘોષ વચ્ચે ઝાડેશ્વરના પવિત્ર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પહોંચેલા અનેક કાવડયાત્રીઓની આસ્થા ત્યારે દુઃખમાં ફેરવાઈ ગઈ, જ્યારે નર્મદા ઘાટ બંધ હોવાનું જાણવા મળ્યું. પવિત્ર નર્મદા જળ ભરવાની ભાવના સાથે આવેલા શ્રદ્ધાળુઓને નિરાશ થઈ પરત ફરવું પડ્યું, જેના કારણે તેમના ચહેરા પર વ્યથા સ્પષ્ટ જોવા મળી. ભરૂચના ઝાડેશ્વર સ્થિત પવિત્ર નર્મદા તટ પર આવેલું સુપ્રસિદ્ધ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર રાજ્ય સહિત અન્ય રાજ્યોના લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. હાલમાં ઉત્તર ભારતમાં શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ અહીં પહોંચ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી નર્મદા ઘાટના નવીનીકરણ અને નિર્માણની કામગીરી ચાલી રહી હોવાથી ઘાટ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે.

ઘાટ બંધ હોવાથી કાવડયાત્રીઓ નર્મદા મૈયાનું પવિત્ર જળ ભરી શક્યા નહોતા. અનેક શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે મહાદેવને અર્પણ કરવા માટે નર્મદા જળ મેળવવાની તેમની વર્ષોથી ચાલતી પરંપરા અધૂરી રહી ગઈ, જે તેમના માટે અત્યંત દુઃખદ અનુભવ રહ્યો.
આગામી દિવસોમાં ગુજરાતમાં પણ શ્રાવણ માસનો પ્રારંભ થવાનો હોવાથી હજારો શ્રદ્ધાળુઓ ઝાડેશ્વર ખાતે ઉમટે તેવી શક્યતા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કાવડયાત્રીઓ અને સ્થાનિક લોકોએ વહીવટી તંત્રને લાગણીસભર અપીલ કરી છે કે ઘાટના નિર્માણકાર્ય વચ્ચે પણ વૈકલ્પિક માર્ગ અથવા સુરક્ષિત વ્યવસ્થા ઉભી કરવામાં આવે, જેથી શ્રદ્ધાળુઓ સરળતાથી નર્મદા જળ મેળવી પોતાની કાવડ યાત્રા અને પૂજા-અર્ચના નિર્વિઘ્ન પૂર્ણ કરી શકે.

