કન્યાકુમારી, તા. 1 : લોકસભા ચૂંટણીના અંતિમ ચરણ પહેલાં અઢી મહિનાની સતત દોડધામમાંથી મુક્ત થઇને તામિલનાડુ પહોંચી ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે બપોરે કન્યાકુમારીમાં 45 કલાકનું ધ્યાન સમાપ્ત કર્યું હતું.

ગત ગુરુવારની સાંજે કન્યાકુમારી પહોંચ્યા પછી વિવેકાનંદ રોક મેમોરિયલ પર મોદીએ ત્રણ દિવસ સુધી ધ્યાન, સાધના કર્યા હતા. વડાપ્રધાને વિવેકાનંદ શિલાની નજીક સ્થિત પ્રખ્યાત તમિળ સર્જક તિરુવલ્લુવરની 133 ફૂટ ઊંચી પ્રતિમાનાં દર્શન કર્યાં હતાં. ત્યારબાદ આજે બપોરે ત્રણ વાગ્યે મેમોરિયલની બહાર આવ્યા હતા. આજે ધ્યાનના ત્રીજા દિવસની સવારે પણ સૂર્યોદયના સમયે મોદીએ સૂર્યને અર્ઘ્ય આપ્યો હતો. પછી ધ્યાન મંડપમની પરિક્રમા કરી હતી.
મોદી રુદ્રાક્ષની માળાનો જાપ કરતા ધ્યાન મંડપમના કોરિડોરમાં બેઠેલા અને સ્વામી વિવેકાનંદની પ્રતિમાને નમન કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસના ચૂંટણીના સાતમા તબક્કા વખતે જ કન્યાકુમારી યાત્રા સામે સવાલ અને હાઇકોર્ટ સુધી પહોંચીને વિરોધ વચ્ચે વડાપ્રધાન મોદીએ કોઇ પણ જાતના વિઘ્ન વિના ધ્યાન-સાધના શનિવારની બપોરે સંપન્ન કર્યા હતા.

