નવી દિલ્હી, તા. 10 : કોલકાતામાં ` નિર્ભયાકાંડ’ જેવી જ શરમજનક ઘટનાથી બંગાળમાં બબાલ વચ્ચે એક શખ્સની ધરપકડ કરાઈ હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મેડિકલ કોલેજની તાલીમી તબીબ પર દુષ્કર્મ અને નિર્મમ હત્યાને કમનસીબ, ધૃણાસ્પદ ઘટના લેખાવી હતી. સાથોસાથ તેમણે કહ્યું હતું કે, અપરાધીઓને ફાંસીની સજા અપાશે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. નર્સોએ પીડિતા તબીબને ન્યાયની માંગ સાથે રેલી કાઢી હતી. ભાજપ તરફથી વરિષ્ઠ નેતા અગ્નિમિત્રા પોલે આ પાસવી કૃત્યની દુર્ઘટનાના મામલાની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી હતી.

તબીબને ગંભીર ઈજાઓ આવી છે. દુષ્કર્મ બાદ નિર્દયપણે હત્યા કરી દેવાઈ છે. સાંજે પોસ્ટમોર્ટમ કેમ કરાયું ? અમે કોઈ કેન્દ્રીય હોસ્પિટલમાં બીજી વાર પોસ્ટમોર્ટમ કરાવવાની માંગ કરીએ છીએ, તેવું કેસરિયા પક્ષના નેતાએ કહ્યું હતું. ભાજપ દ્વારા કાયદો વ્યવસ્થાના કારણે મમતા સરકારની આકરી ટીકા વચ્ચે એક જણની ધરપકડ કરી લેવાઈ હતી. પીડિતા તબીબનો પરિવાર કોઈ કેન્દ્રીય એજન્સી દ્વારા તપાસ કરાવવાની માંગ કરે તો કોઈ વાંધો નથી, કારણ કે, અમારા પાસે છૂપાવવા જેવું કંઈ પણ નથી, તેવું મમતાએ જણાવ્યું હતું. તબીબના શરીરના અનેક ભાગ પર ઈજાનાં નિશાન જોવા મળ્યાં હતાં.
બન્ને આંખ, મોઢામાંથી તેમજ ગુપ્તાંગમાંથી લોહી વહી રહ્યું હતું. હાથ-પગ, પેટમાં ઈજા સાથે ગર્દનનું હાડકું તૂટી ગયું હતું. કોલકાતા પોલીસના અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના શુક્રવારની સવારે ત્રણથી છ વાગ્યા વચ્ચે બની હતી. દુષ્કર્મ બાદ ગળું દબાવીને હત્યા કરી દેવાઈ હતી. દરમ્યાન, ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસીએશન (ફોર્ડા)એ દેશના આરોગ્યમંત્રી જે.પી. નડ્ડાને પત્ર લખીને ચેતવણી આપી હતી કે, 24 કલાકમાં પગલાં નહીં લેવાય તો સેવાઓ બંધ કરવા સાથે વિરોધ દેખાવો કરાશે. કોલકાતાના પોલીસ કમિશનર વિનિત ગોયલે જણાવ્યું હતું કે, અમે સાત સભ્યની ખાસ તપાસ ટીમ (સીટ)ની રચના કરી છે.

