નવી દિલ્હી, તા. 30 : મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટવાના મામલે કોંગ્રેસ અને શિવસેના (યુબીટી)ના આકરા પ્રહારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે માફી માગી હતી.
મોદી આજે મહારાષ્ટ્ર પ્રવાસે હતા, જ્યાં પાલઘરમાં વાઘવન બંદરનું ખાતમુહૂર્ત કર્યું હતું અને આશરે 1,560 કરોડની વિવિધ પરિયોજનાના ખાતમુહૂર્ત-શિલાન્યાસ કર્યા?બાદ સિંધુદુર્ગમાં 26મી ઓગસ્ટે શિવાજીની પ્રતિમા પડવા બદલ માફી માગી હતી. મોદીએ જણાવ્યું હતું કે, 2013માં જ્યારે મને વડાપ્રધાન પદનો ઉમેદવાર બનાવાયો, ત્યારે પહેલાં હું રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજની સમાધિએ ગયો હતો. શિવાજી મહારાજ મારા માટે માત્ર એક નામ નથી, આપણા માટે આરાધ્ય છે.

સિંધુદુર્ગમાં જે કંઈ પણ થયું, હું શીશ ઝુકાવી છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં નમન કરું છું અને માફી માગુ છું. ઉલ્લેખનીય છે કે, પીએમ અગાઉ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ આ મામલે માફી માગી ચૂકયા છે.

