Indian Airlines: પાકિસ્તાની એરસ્પેસ બંધથી ભારતીય એરલાઇન્સને મહિને રૂ.306 કરોડનું નુકસાન

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Indian Airlines:  ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જેના કારણે બંને બાજુથી રાજદ્વારી અને વ્યૂહાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેનાથી બંને દેશોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જ્યાં ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરીને પાકિસ્તાનના કૃષિ અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું છે. ત્યાં બીજી તરફ, પાકિસ્તાન સરકારે એવો આદેશ જારી કર્યો છે, જેના કારણે ભારતને દર મહિને 306 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે એટલે કે પાકિસ્તાને એરસ્પેસ બંધ કરતાં ભારતીય વિમાની કંપનીઓને અઠવાડિયે 77 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે.

દર અઠવાડિયે 77 કરોડનું નુકસાન

- Advertisement -

અહેવાલો અનુસાર, પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે દેશના ઉત્તરીય શહેરોમાંથી સંચાલિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ભારતીય એરલાઇન્સને દર અઠવાડિયે 77 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ કરવો પડી શકે છે. આ ઉડ્ડયન બળતણના વપરાશમાં વધારો અને હવાઈ ક્ષેત્રના નિયંત્રણોને કારણે ફ્લાઇટનો સમયગાળો લાંબો થવાને કારણે થશે.

ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સની સંખ્યા અને ફ્લાઇટનો સમયગાળો વધવાથી અંદાજિત માસિક સંચાલન ખર્ચ રૂ. 306 કરોડથી વધુ થઈ શકે છે. પહલગામ આતંકવાદી હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા પાકિસ્તાને ભારત માટે એરસ્પેસ બંધ કરતા ભારતને આ નુકસાન ભોગવવું પડશે.

કયા રૂટ પર કેટલું નુકસાન?

દિલ્હી અને અન્ય ઉત્તર ભારતીય શહેરોથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં વૈકલ્પિક ફ્લાઇટ રૂટ લેવાથી 1.5 કલાકનો વધારાનો સમય લાગી રહ્યો છે. આના કારણે ATFનો વપરાશ પણ વધ્યો છે. કોમર્શિયલ સેક્ટરમાં વ્યાપક અનુભવ ધરાવતા એક વરિષ્ઠ એરલાઇન ઉદ્યોગના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે ઉત્તર અમેરિકાની 16 કલાકની ફ્લાઇટમાં હવે લગભગ 1.5 કલાક વધુ સમય લાગશે.

આ વધારાની 1.5 કલાકની ફ્લાઇટનો ખર્ચ લગભગ 29 લાખ રૂપિયા થશે. તેવી જ રીતે, યુરોપની 9 કલાકની ફ્લાઇટમાં લગભગ 1.5 કલાક વધારાનો સમય લાગશે અને ખર્ચમાં લગભગ 22.5 લાખ રૂપિયાનો વધારો થશે. અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાની ફ્લાઇટ્સના કિસ્સામાં, વધારાનો સમય લગભગ 45 મિનિટનો હશે અને તેના કારણે ખર્ચમાં લગભગ 5 લાખ રૂપિયાનો વધારો થશે.

ક્યાં કેટલી ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ 

એવિએશન એનાલિટિક્સ ફર્મના જણાવ્યા અનુસાર, ભારતીય એરલાઇન્સ એપ્રિલમાં વિવિધ આંતરરાષ્ટ્રીય સ્થળોએ 6,000 થી વધુ વન-વે ફ્લાઇટ્સનું મેનેજમેન્ટ કરશે. આ આંકડાઓ અનુસાર, ભારતીય એરલાઇન્સ ઉત્તર ભારતીય શહેરોથી ઉત્તર અમેરિકા, યુકે, યુરોપ અને પશ્ચિમ એશિયા સહિત વિદેશી સ્થળોએ 800 થી વધુ સાપ્તાહિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. 

બંને બાજુથી મહિનામાં 3100 થી વધુ ફ્લાઇટ્સ આવે છે, અને સાપ્તાહિક ધોરણે આ સંખ્યા 800 ની આસપાસ છે. વિશ્લેષણ મુજબ, કુલ વધારાનો ખર્ચ માસિક ધોરણે આશરે રૂ. 307 કરોડ અને સાપ્તાહિક ધોરણે રૂ. 77 કરોડ થશે. આ આંકડા રફ અંદાજ પર આધારિત છે.

Share This Article