Air India plane crash: 12 જૂને અમદાવાદમાં સર્જાયેલી ભયાવહ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતોના વીમા દાવાઓના નિકાલમાં વીમા કંપનીઓને ભારે પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક કિસ્સાઓમાં પોલિસીધારક અને તેમના નોમિની (વારસદારો) બંને આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોવાથી વીમા કંપનીઓ માટે પ્રક્રિયા જટિલ બની છે. 12 જૂને અમદાવાદમાં સર્જાયેલી આ કરુણાંતિકામાં 279 લોકોના મૃત્યુ થયા છે. જેમાં ક્યાંક આખા પરિવારે જીવ ગુમાવ્યો છે અથવા પતિ-પત્ની બંનેના મૃત્યુ થયા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે.
વીમાધારક અને નોમિની બંનેના મૃત્યુના અનેક કિસ્સાઓ
એલઆઇસી(LIC)ના એક અધિકારીએ જણાવ્યું કે કંપનીને અત્યાર સુધીમાં 10 દાવા મળ્યા છે. જેમાંથી એક કિસ્સો એવો પણ છે જેમાં વીમાધારક વ્યક્તિએ પોતાના પત્નીને નોમિની બનાવ્યા હતા અને દુર્ઘટનામાં બંનેનું મૃત્યુ થયું છે. ઈફ્કો ટોકિયો ઇન્સ્યોરન્સ(IFFCO Tokio Insurance)ના મેનેજરે પણ એક કિસ્સાનો ઉલ્લેખ કર્યો જેમાં એક કંપનીના ડિરેક્ટર અને તેમની નોમિની પત્ની બંનેનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું. ટાટા એઆઇજી(Tata AIG)ના અધિકારીએ જણાવ્યું કે તેમને અત્યાર સુધીમાં સાત ક્લેમ મળ્યા છે, જેમાંથી એક કિસ્સો એવો છે જેમાં મૃતકે પોતાના જીવનસાથીને નોમિની બનાવ્યા હતા અને તેમનું પણ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.
લીગલ ટીમ વિકલ્પો પર કરી રહી છે વિચારણા
એક વીમા કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે “જો વીમાધારક અને નોમિની બંનેનું મૃત્યુ થઈ ગયું હોય, તો અમે કેટેગરી-1 ના વારસદારોને શોધીએ છીએ. જે સામાન્ય રીતે બાળકો હોય છે, જેમનું બ્લડ રિલેશન હોય છે. જો એક કરતાં વધુ બાળકો હોય, તો અમે વારસદારો પાસેથી એક ઘોષણાપત્ર લઈએ છીએ કે દાવાનો નિકાલ કેવી રીતે થવો જોઈએ અને કંપનીને ક્ષતિપૂર્તિ બોન્ડ (Indemnity Bond) જમા કરાવવાનો હોય છે. તેમની કંપનીની લીગલ ટીમ તે અંગે વિચાર કરી રહી છે કે શું આવા કિસ્સાઓમાં વારસદારોના જોઇન્ટ ડિક્લેરેશન (Joint Declaration) માંગી શકાય, જે કિસ્સામાં વીમાધારક અને નોમિની બંનેનું મૃત્યુ થયું હોય.
ઇરડાએ દાવાઓ રદ ન કરવા સૂચના આપી
દુર્ઘટના બાદ તાત્કાલિક ઇરડાએ (IRDAI) વીમા કંપનીઓને જણાવ્યું કે તેઓ વિદેશી મેડિકલ ઇન્શ્યોરન્સ, વ્યક્તિગત દુર્ઘટના અને જીવન વીમા પોલિસીઓના ઇશ્યૂ કરવા સંબંધિત પોતાના ડેટામાંથી મૃતકના વિવરણનું વેરિફિકેશન કરે. મુસાફરોની યાદીમાં સામેલ પુષ્ટિ થયેલા મૃત વ્યક્તિઓ તથા દુર્ઘટનાથી પ્રભાવિત ઇમારતોમાં રહેતા વ્યક્તિઓના કિસ્સામાં પ્રક્રિયાગત ઔપચારિકતાઓના કારણે કોઈપણ દાવાને અસ્વીકાર અથવા વિલંબિત કરવામાં આવશે નહીં.