Sanju Samson T20 Cricketer of the Year: વિકેટકીપર-બેટર સંજુ સેમસનને CEAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સ 2025 માં માત્ર તેની એથ્લેટિક પ્રતિભા માટે જ સન્માનિત કરવામાં આવ્યો ન હતો, પરંતુ ભાવનાત્મક રીતે તેના સંઘર્ષ અને મહેનતની પણ સ્ટોરી સંભળાવવામાં આવી હતી. આ પ્રસંગે તેને ‘T20 ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ’ નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. હસતા- હસતાં તેણે તેની કારકિર્દીના પડકારો, ઇજાઓ અને ટીમથી દૂર રહીને અનુભવેલા મુશ્કેલ સમય વિશે વાત કરી. તેના શબ્દોથી સ્પષ્ટ થયું કે, સંજુ પાછળ માત્ર આંકડા જ નહીં, પરંતુ વર્ષોના સંઘર્ષ, અનુભવ અને દેશ પ્રત્યે અપાર સમર્પણ પણ છુપાયેલું છે.
‘મારા દેશ માટે મારો ભાગ ભજવવાનો ગર્વ’
સેમસનએ કહ્યું, ‘જ્યારે તમે ભારતીય જર્સી પહેરો છો, ત્યારે કોઈ પણ વસ્તુને ‘ના’ કહેવું સંભવ નથી હોતુ. મેં તેને હાંસલ કરવા માટે ખૂબ જ મહેનત કરી છે, અને મને દેશ માટે મારો ભાગ ભજવવાનો ગર્વ છે. ભલે મારે 9 નંબર પર બેટિંગ કરવી હોય કે ડાબા હાથની સ્પિન બોલિંગ કરવી હોય, હું હંમેશા ટીમની જરૂરિયાતોને અનુરૂપ થવા માટે તૈયાર છું.’
‘હાલમાં જ મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 વર્ષ પૂર્ણ કર્યા’
30 વર્ષીય સંજુએ તેના આંતરરાષ્ટ્રીય કરિયર 10 વર્ષ પૂર્ણ કરવાનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું, ‘મેં તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10 વર્ષ પૂર્ણ કર્યા છે, પરંતુ તે દરમિયાન મેં માત્ર 40 મેચ રમી છે. સંખ્યાઓ નાની લાગે છે, પરંતુ મને ગર્વ છે કે, મારે જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો અને આ વર્ષો દરમિયાન હું જે વ્યક્તિ બન્યો.’
સંજુએ કુલ 65 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
ઈન્ટરવ્યુ દરમિયાન સંજુ સેમસન ભાવુક જોવા મળ્યો હતો અને 10 વર્ષમાં માત્ર 40 મેચ રમી તેની સ્ટોરી શેર કરી. તેના નિવેદનથી સંકેત મળે છે કે, તેને વધુ તકો આપવી જોઈતી હતી. 2015 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી, સંજુએ કુલ 65 મેચ (16 ODI અને 49 T20I) માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
‘રમતગમતમાં ઉતાર-ચઢાવ આવે છે’
એવોર્ડ સમારોહમાં પોતાના પુરસ્કાર દરમિયાન, સંજુએ કહ્યું કે, ‘ઈજાઓ, ટીમની બહાર રહેવું અને દબાણ હેઠળ પ્રદર્શન કરવામાં નિષ્ફળતા તેની કારકિર્દીનો ભાગ રહી છે, પરંતુ આ મુશ્કેલ અનુભવોએ તેને વધુ મજબૂત બનાવ્યો છે. સંજુએ શેર કર્યું, ‘રમતગમતમાં ઉતાર-ચઢાવ આવે છે. ક્યારેક ઈજાઓ, ક્યારેક ટીમની બહાર રહેવું, ક્યારેક પ્રદર્શન ન કરી શકવું- આવી ઘણી ક્ષણો આવી છે. પરંતુ આ સમય તમને વધુ સારા બનાવે છે અને તમને શીખવાની તાકાત ઉભી કરે છે.’

