Income Tax Reforms 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે રજૂ કરેલા બજેટ ૨૦૨૬ માં ઇન્કમ ટેક્સ સાથે જોડાયેલા મોટા સુધારાઓની જાહેરાત કરી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે હવે ટેક્સ ભરનારાઓને ગુનેગારની નજરથી જોવામાં આવશે નહીં. આ પગલા દ્વારા સરકારનો ઉદ્દેશ્ય દેશમાં ભરોસા પર આધારિત ટેક્સ વ્યવસ્થાને મજબૂત કરવાનો છે, જેથી ઈમાનદારીથી ટેક્સ ભરનારાઓને રાહત મળે અને ટેક્સ સિસ્ટમને સરળ તથા ટ્રાન્સપરન્ટ બનાવી શકાય.
સજાને બદલે માત્ર દંડ
નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે ૧ એપ્રિલથી લાગુ થનારા નવા ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ જો કોઈની આવકમાં કોઈ ગરબડ જણાય અથવા અજાણતા ટેક્સ છુપાવવામાં આવે તો સજાને બદલે માત્ર દંડ ભરવો પડશે. આ ઉપરાંત, જે લોકોની વિદેશમાં અઘોષિત સંપત્તિ છે, તેમને સરકાર પોતાની ભૂલ સુધારવા માટે ૬ મહિનાનો વિશેષ સમય આપશે. તે લોકો એક ખાસ પ્રકટીકરણ સ્કીમ હેઠળ પોતાની સંપત્તિની માહિતી આપીને કાયદાકીય ગૂંચવણોથી બચી શકે છે.
ન્યાયાલયો પાસે જેલની સજાને દંડમાં ફેરવવાનો અધિકાર
નાણામંત્રીએ પોતાના બજેટ ૨૦2૬-૨૭ ના ભાષણમાં કહ્યું, ‘નાના ગુનાઓ પર માત્ર દંડ લાગશે. બાકીના કેસોને ગુનાની ગંભીરતા મુજબ વર્ગીકૃત કરવામાં આવશે. આમાં માત્ર જેલની સજા હશે, મહત્તમ જેલની સજા ઘટાડીને બે વર્ષ કરવામાં આવી છે, અને ન્યાયાલયો પાસે આ સજાને પણ દંડમાં ફેરવવાનો અધિકાર હશે.’ સાથે જ નાણામંત્રીએ કહ્યું કે પ્રથમ અપીલ સત્તાધિકારી સમક્ષ અપીલના સમયગાળા માટે કરદાતા પર દંડની રકમ પર કોઈ વ્યાજ લાગશે નહીં, ભલે અપીલ પ્રક્રિયાનું પરિણામ ગમે તે આવે. આ ઉપરાંત, એડવાન્સ પેમેન્ટની રકમને ૨૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવી રહી છે અને તેની ગણતરી માત્ર મૂળ ટેક્સની માંગ પર જ કરવામાં આવશે.
ITR અને પ્રોપર્ટી ખરીદવાની પ્રક્રિયા પણ સરળ
આ ઉપરાંત, નાણામંત્રીએ ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) માં મોટી રાહત આપી છે. હવે આઈટીઆર (ITR) માં ભૂલ થાય તો તેને સુધારવી સરળ બનશે અને આ માટે સરકારે વધારાનો સમય આપવાની પણ જાહેરાત કરી છે. હવે કરદાતા નજીવી ફી ભરીને રિટર્ન અપડેટ કરી શકશે. બીજી તરફ, સરકારે પ્રોપર્ટી ખરીદવાનું પણ ઘણું સરળ બનાવી દીધું છે. જો તમે કોઈ NRI પાસેથી ઘર કે જમીન ખરીદો છો તો પહેલાની જેમ TAN નંબરની અઘરી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે નહીં અને TAN વગર પણ TDS કાપી શકાશે.

