Hormuz Strait Blockade: ઈસ્લામાબાદ વાટાઘાટો અનિર્ણિત રહ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ પર મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રમ્પના આદેશ પર સોમવારથી અમેરિકી નેવીએ હોર્મુઝથી પસાર થતા જહાજોનો રસ્તો બ્લોક કરી દીધો છે. આ સમુદ્રી રૂટની અગત્યતાને જોતા ટ્રમ્પના પગલાએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. ટ્રમ્પની જાહેરાતની સાથે જ સવાલ ઉઠી રહ્યો છે કે તેમણે આવું કેમ કર્યું છે. આ બ્લોકેડનો શું અર્થ છે અને સમુદ્રમાં રસ્તો આખરે કેવી રીતે રોકવામાં આવે છે.
નૌસૈનિક નાકેબંધી શું હોય છે
નૌસૈનિક નાકેબંધી એટલે કે નવલ બ્લોકેડ એક સૈન્ય વ્યૂહરચના છે. આમાં એક દેશ પોતાના દુશ્મન મુલકના બંદરો અથવા સમુદ્રી ક્ષેત્રમાં જહાજોની અવરજવર પર રોક લગાવે છે. આવું કરવાનો હેતુ દુશ્મન દેશના વેપારને ખોરવી નાખીને તેની આર્થિક અને સૈન્ય સપ્લાય ચેઈનને તોડવાનો હોય છે.
હોર્મુઝમાં કેવી રીતે લાગશે બ્લોકેડ
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) તરફથી હોર્મુઝ સમુદ્રી કોરિડોરને બંધ કરવા પર નિવેદન આપવામાં આવ્યું છે. કમાન્ડ અનુસાર, આ નાકેબંધી ઈરાનના આખા સમુદ્રી કિનારા, તેના બંદરો અને તેલ ટર્મિનલ્સને કવર કરશે. એટલે કે અહીં આવતા-જતા જહાજો પર અમેરિકી નેવી દેખરેખ રાખશે.
નાકેબંધી લાગવાથી શું થશે:
કોઈપણ જહાજને પરવાનગી વગર એન્ટ્રી કે એક્ઝિટ મળશે નહીં.
ઉલ્લંઘન કરનારા જહાજોને રોકી શકાય છે અથવા કબજે કરી શકાય છે.
ખાદ્ય પદાર્થો અને દવા લઈ જતા જહાજોને પરવાનગી મળી શકે છે.
અમેરિકાએ કેમ ઉઠાવ્યું પગલું
અમેરિકાનો આરોપ છે કે ઈરાન હોર્મુઝથી પસાર થતા જહાજો પાસેથી ભારે શુલ્ક (ટોલ) વસૂલી રહ્યું છે. ઈરાનીઓ પસંદગીના જહાજોને જ હોર્મુઝથી પસાર થવા દઈ રહ્યા છે. એવામાં અમેરિકા આ નાકેબંધી દ્વારા ઈરાનના તેલ આયાતને રોકીને તેને આર્થિક નુકસાન પહોંચાડવા માંગે છે.
હોર્મુઝ સ્ટ્રેટ નાકેબંધી દ્વારા અમેરિકા તમામ જહાજો માટે ‘ફ્રી પેસેજ’ લાગુ કરવા માંગે છે. નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકા આ નાકેબંધી લાગુ કરીને ઈરાન પર દબાણ લાવવા માંગે છે જેથી તેહરાનનું શાસન ઓછી શરતો પર સમજૂતી માટે સંમત થઈ જાય.
હોર્મુઝ સ્ટ્રેટ કેમ મહત્વનું છે
ઈરાન સાથે જોડાયેલ હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાનો મહત્વનો સમુદ્રી રૂટ છે. ખાડી દેશોમાંથી દુનિયાના મોટા ભાગમાં આ જ રસ્તેથી તેલ અને ગેસ પહોંચે છે. અમેરિકા અને ઈઝરાયેલના 28 ફેબ્રુઆરીએ કરેલા હુમલાના જવાબમાં ઈરાને આ સમુદ્રી કોરિડોરને નિયંત્રણમાં લીધો છે. ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પે તેને બ્લોક કરીને દુનિયાના જહાજોને આનાથી ના પસાર થવા દેવાની જાહેરાત કરી દીધી છે.

