Cyber Fraud News: દેશની ડિજિટલ ઈકોનોમી માટે સાયબર ફ્રોડ ગંભીર ખતરો બની ગયો છે. સાયબર ફ્રોડના કારણે આ વર્ષે લગભગ રૂપિયા 20 હજાર કરોડનું નુકસાન થઈ શકે છે. આ મામલાઓએ સામાન્ય લોકો જ નહીં પરંતુ બેંકો અને નાણાકીય સંસ્થાઓની ચિંતામાં પણ વધારો કર્યો છે.
સાયબર અપરાધો વિશે જાગૃતિ ફેલાવનારી એઆઈ કંપનીએ પાછલા વર્ષના આંકડા અને ભવિષ્યના ટ્રેન્ડ વિશે અનુમાન લગાવતા કહ્યું છે કે, આ વર્ષે રૂપિયા 9000 કરોડની છેતરપિંડી જાણીતી બ્રાન્ડના નામનો દુરુપયોગ કરીને કરવામાં આવશે. સાયબર ક્રાઈમના કુલ કેસોમાં ત્રીજા ભાગના કેસ બ્રાન્ડના નામના દુરુપયોગના હોય છે. લોકો જાગૃતિ અને સતર્કતાના અભાવે આ છેતરપિંડીનો ભોગ બને છે. ગઠિયાઓ ચાલાકીથી વેબસાઈટ બનાવે છે અને લોકો તેમની જાળમાં ફસાઈ જાય છે કારણ કે, લોકો મોટી બ્રાન્ડ્સ પર વિશ્વાસ કરે છે.
રિપોર્ટ મુજબ, 2025માં સાયબર ક્રાઈમની ફરિયાદો ૨૫ લાખના આંકને વટાવી જશે. આ ફરિયાદોમાંથી 5 લાખ ફરિયાદો બ્રાન્ડ્સના નામે છેતરપિંડી સાથે સંબંધિત હશે. છેતરપિંડી કરતી વેબસાઈટ્સ, ફિશિંગનો વધતો વ્યાપ અને શંકાસ્પદ એપ્લિકેશનોને કારણે આ ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. ગત વર્ષે 200થી વધુ કંપનીઓ અને પાંચ હજાર ડોમેન તથા લગભગ 16 હજાર બ્રાન્ડ્સ સાથે છેતરપિંડીના મામલાના અભ્યાસ બાદ આ આંકડો સામે આવ્યો હતો.
બેંકિંગ અને ફાઈનેશિયલ સર્વિસિઝને સાયબર ફ્રોડને કારણે સૌથી વધુ રૂ. 8200 કરોડનો ફટકો પડવાની સંભાવના છે. ત્યારબાદ, રિટેલ અને ઈ-કોમર્સ કંપનીઓનો નંબર આવે છે. તેમને રૂ. 5800 કરોડનું નુકસાન થઈ શકે છે. આ પ્રકારે સરકારી સેવાઓના નામ પર કરવામાં આવતી છેતરપિંડીની રકમ રૂ. 3400 કરોડ સુધી પહોચી શકે છે. ફ્રોડ વેબસાઈટ અને એપમાં 83 ટકા વધારો થવાની સંભાવના છે.

