RBI Cheque Truncation System: જો તમે ક્યારેક બેંકમાં ચેક જમા કરાવ્યો હશે તો તમને ખબર હશે કે, તેને ક્લિયર થવામાં ઘણીવાર 2 દિવસ લાગે છે. પરંતુ હવે આ સમસ્યાનો અંત આવવાનો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) 4 ઓક્ટોબર, 2025થી ચેક ક્લિયરિંગની એક નવી સિસ્ટમ શરૂ કરવા જઈ રહી છે, જેમાં તમારો ચેક ગણતરીના કલાકોમાં ક્લિયર થઈ જશે.
નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
RBIએ કહ્યું કે, હાલની ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ હવે બેચ પ્રક્રિયામાંથી હટાવાશે અને તે “Continuous Clearing and Settlement on Realization” સિસ્ટમમાં બદલાઈ જશે. આનો અર્થ એ છે કે બેંકમાં ચેક જમા કરાવતાની સાથે જ તેની સ્કેન કરેલી નકલ તરત જ ક્લિયરિંગ હાઉસમાં મોકલવામાં આવશે અને પછી ચુકવણી કરતી બેંકમાં મોકલવામાં આવશે. ત્યાંથી, બેંકે નિર્ધારિત સમયની અંદર ચેકને મંજૂરી આપવી પડશે અથવા નકારી કાઢવી પડશે.
ગ્રાહકોને થશે મોટો ફાયદો
આ સાથે, બેંકમાં ચેક ક્લિયર થવાનો સમય બે દિવસથી ઘટાડીને ફક્ત થોડા કલાકો થઈ જશે. ચેક ક્લિયરિંગ સિસ્ટમને ઝડપી બનાવવા માટે કેન્દ્રીય બેંક દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. જેનાથી ગ્રાહકોને મોટો ફાયદો થશે.
નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે
પ્રથમ તબક્કો: 4 ઓક્ટોબર, 2025 થી 3 જાન્યુઆરી, 2026 સુધી બેંકે ચેક પ્રાપ્ત કર્યા પછી સાંજે 7 વાગ્યા સુધીમાં પુષ્ટિ આપવી પડશે. જો બેંક પુષ્ટિ નહીં આપે, તો ચેક આપમેળે સ્વીકારાયેલ માનવામાં આવશે.
બીજો તબક્કો: 3 જાન્યુઆરી, 2026થી બેંકે ચેક મળ્યાના માત્ર 3 કલાકની અંદર જ ક્લિયર કરવાનો રહેશે. ઉદાહરણ તરીકે, જો ચેક સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે જમા કરાવવામાં આવે છે, તો તેને બપોરે 2 વાગ્યા સુધીમાં મંજૂર અથવા અસ્વીકાર કરવાનો રહેશે.
પ્રેઝન્ટેશન અને કન્ફર્મેશન સેશન
બધી બેંકો માટે સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી ચેક પ્રેઝન્ટેશન સેશન હશે, જેમાં ચેક સ્કેન કરીને સતત મોકલવામાં આવશે. કન્ફર્મેશન સેશન સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. પહેલા તબક્કામાં, “આઇટમ એક્સપાયરી સમય” સાંજે 7 વાગ્યાનો રહેશે, જ્યારે બીજા તબક્કામાં તે ઘટાડીને ફક્ત 3 કલાકનો કરવામાં આવશે.