NEET મામલે સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી: વિદ્યાર્થીઓએ પરીક્ષા યોજવા માટે સાચી અને કાયદેસર દલીલ કરવી જોઈએ.
નવી દિલ્હી: NEET-UG 2024માં કથિત પેપર લીક ને કારણે વિધાર્થીઓ ફરીથી યોજવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટ(Supreme court) પહોંચ્યા છે. ત્રણ જજોની બેંચ કોર્ટમાં સુનાવણી હાથ ધરી રહી છે, જેનું નેતૃત્વ CJI ચંદ્રચુડ કરી રહ્યા છે. આ મામલે દાખલ કરાયેલી મોટાભાગની અરજીઓની સુનાવણી થઈ ચૂકી છે પરંતુ 40 અરજીઓ પર એક સાથે સુનાવણી ચાલી રહી છે. જેમાં વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે NEET પરીક્ષા રદ કરવામાં આવે, જેના પર કોર્ટે એમ પણ કહ્યું કે વિદ્યાર્થીઓએ પરીક્ષા યોજવા માટે કેટલીક સાચી અને કાયદેસર દલીલ કરવી જોઈએ.

દરમિયાન NTA તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે મને આશા છે કે ચીફ જસ્ટિસે બીજો સ્ટેટસ રિપોર્ટ જોયો હશે. જેના પર CJIએ હાં માં જવાબ આપ્યો. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે CBIએ અમને તેનો સ્ટેટસ રિપોર્ટ આપ્યો છે, પરંતુ અમે તેને સાર્વજનિક કરી શકીએ નહીં કારણ કે તેનાથી સીબીઆઈની તપાસ પ્રભાવિત થઈ શકે છે.
પેપર લીક પર સુનાવણી દરમિયાન બેંચે અરજદારના વકીલને કહ્યું કે તમારે અમારી સમક્ષ સાબિત કરવું પડશે કે આ અનિયમિતતા અને લીક મોટા પાયા પર થઈ છે અને પરીક્ષા રદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
કોર્ટે પૂછ્યું કે સરકારી કોલેજમાં કેટલી સીટો છે, અરજદારના વકીલે કહ્યું કે 56000 સીટો છે. જ્યારે ખાનગી કોલેજોમાં સીટો વિશે પૂછવામાં આવ્યું તો જવાબ મળ્યો કે 52,000 સીટો છે.
સુપ્રીમ કોર્ટે અરજદારને કહ્યું કે જો તમે અમારી સમક્ષ મોટા પાયા પર ગેરરીતિઓ થઇ હોવાનું સાબિત કરો તો જ રી એક્ઝામનો આદેશ આપી શકાય. અરજદાર વિદ્યાર્થીઓના વકીલે કહ્યું કે કેટલાક એવા વિદ્યાર્થીઓ પણ આવ્યા છે જેમના રેન્ક 1 લાખ 8 હજાર વિદ્યાર્થીઓ વચ્ચે છે, પરંતુ તેમને સરકારી કોલેજ મળી નથી.

