જગદલપુર, તા. 10 : છત્તીસગઢના બે જિલ્લામાં સુરક્ષા દળોએ હાથ ધરેલા એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા 17 નક્સલવાદી ઠાર મરાયા હતા. દંતેવાડા અને સુકમામાં કાર્યવાહી દરમ્યાન પાંચ અને બીજાપુરમાં 12 નક્સલવાદી ઠાર મરાયા હતા. દરમ્યાન, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઇએ જણાવ્યું હતું કે, આજે બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં કમસેકમ 12 જેટલા નક્સલવાદી માર્યા ગયા હતા, તો બે જવાન ઘવાયા હતા. દળોએ શત્રો, વિસ્ફોટક સામગ્રી જપ્ત કર્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, જ્યારે સુરક્ષા દળ નક્સલ વિરોધી કાર્યવાહી પર હતા ત્યારે ગંગલુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા પીડિયા ગામ પાસે જંગલમાં સામસામો ગોળીબાર થયો હતો. મુખ્યમંત્રીએ પત્રકારોને કહ્યું હતું કે, ગંગલુર વિસ્તારમાં ગોળીબાર સમાપ્ત થઇ ગયો છે અને સુરક્ષા દળે બાર જેટલા નક્સલવાદીને ઠાર મારી સફળતા મેળવી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં છત્તીસગઢમાં નક્સલવાદીઓને આ ત્રીજો મોટો ફટકો પડયો છે. 16 એપ્રિલે કમસેકમ 29 નક્સલવાદી કાંકેર જિલ્લામાં અને 30 એપ્રિલે નારાયણપુર અને કાંકેર જિલ્લાની સરહદે 10 નક્સલવાદી મરાયા હતા. એક મીડિયા હેવાલ મુજબ, દંતેવાડા, બીજાપુર અને સુકમા એમ ત્રણ જિલ્લામાં ખુંખાર નક્સલી કમાન્ડર લિંગા, પાપારાવ સહિત મોટા લીડર તથા નક્સલી સમિતિના વિવિધ કેડરના વિવિધ લીડર હોવાની બાતમીના પગલે જવાનોએ કાર્યવાહી કરી હતી.
