કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ ક્ષેત્રમાં આતંકી હુમલામાં છનાં મોત

Reena Brahmbhatt
1 Min Read

શ્રીનગર, તા. 20 : કાશ્મીરમાં ફરી લક્ષિત હત્યાનો મામલો સામે આવ્યો છે. કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ ક્ષેત્રમાં સુરંગ નિર્માણના કામ દરમિયાન ત્રાટકેલા આતંકીઓએ કરેલા ગોળીબારમાં એક ડોકટર તથા બિહારના બે પરપ્રાંતીય મજૂર સહિત છનાં મોત થયાં હતાં, જ્યારે પાંચ ઘાયલ થયા હતા. સુરક્ષા દળોએ બનાવસ્થળે પહોંચીને તલાશી અભિયાન ચાલુ કર્યું હતું.

ઘટના બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ હુમલાની નિંદા કરવા સાથે મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ગગનીરથી સોનમર્ગને જોડતી સુરંગનું કામ કરી રહેલા મજૂરો પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં આ મોત થયાં હતાં, જ્યારે પાંચ ઘાયલ થયા હતા.

- Advertisement -

આતંકી હુમલાની જાણ થતાં જ સુરક્ષા દળોની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહો અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાની કાર્યવાહી કરી હતી. તે સાથે જ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને તલાશી અભિયાન છેડયું હતું. ઉલ્લેખનીય છે કે, આતંકવાદીઓએ એક દિવસ પહેલાં જ બિહારના મજૂરને નિશાન બનાવ્યો હતો.

Share This Article