પાલિકા પ્રશાસને સૈયદપુરા વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણ હટાવ્યું
સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે તોફાનીઓ દ્વારા ગણેશ મંડપ પર કરાયેલા પથ્થરમારાનો પડઘો બીજા દિવસે પણ સંભળાયો હતો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુરત પોલીસે તોફાનીઓને પાઠ ભણાવતા પથ્થરમારાની જગ્યાની આસપાસના ગેરકાયદે દબાણો કડકાઈથી દૂર કર્યા હતા.
સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગત રાત્રે કેટલાક બદમાશોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે ગણેશ મંડપ પર પથ્થરમારો કરનાર વ્યક્તિને પકડી લીધો હતો. આ પછી મામલો ગરમાયો અને બંને સમુદાયના લોકો સામસામે આવી ગયા.
એપાર્ટમેન્ટથી થોડે દૂર પોલીસની હાજરીમાં તોફાની તત્વોએ એપાર્ટમેન્ટમાંથી પથ્થરમારો કર્યો હતો. જેના કારણે લોકો રોષે ભરાયા હતા અને વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે મામલો ઉકેલ્યો હતો. જોકે લોકોનો રોષ એટલો હતો કે આગેવાનો અને પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી.

રોષે ભરાયેલા લોકોએ તોફાની તત્વો પર બુલડોઝરનો ઉપયોગ કરવાની માંગ કરી હતી. આ દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઘટનાસ્થળે આવ્યા અને પોલીસને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. જે બાદ સવાર સુધીમાં ફાની તત્વોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને પણ પાઠ ભણાવવામાં આવ્યા હતા.
આ ઘટનાના બીજા દિવસે સોમવારે મહાનગરપાલિકા પ્રશાસને ગણેશ મંડપ પર હુમલાની જગ્યાની આસપાસ લારી-ગલ્લાના ગેરકાયદે દબાણો હટાવવાનું શરૂ કર્યું હતું. જો કે કેટલાક લુખ્ખા તત્વોએ આક્રમક રીતે મનપાની આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. હાલની પરિસ્થિતિને કારણે પોલીસ પણ ઘટનાસ્થળે હાજર છે. તેની આસપાસ ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં હજુ પણ અનેક ગેરકાયદેસર અતિક્રમણો છે અને લોકો તેને દૂર કરવાની માંગ કરી રહ્યા છે.
કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે સૈયદપુરા પોલીસ ચોકી પાસેના મેટલ શેડમાંથી ખાદ્યપદાર્થોની લારીઓ દૂર કરવામાં આવી છે. આ મેટલ શેડ સ્થાનિક સાજીદભાઈ મિર્ઝાનો હોવાનું બહાર આવ્યું છે, જેઓ સુરત શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ મોહસીન મિર્ઝાના સંબંધી છે.

