Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટના બાદ દુર્ઘટનાની તપાસન કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એવામાં ભારતની નાગરિક ઉડ્ડયન નિયામક સંસ્થા (DGCA)એ એર ઈન્ડિયાને કહ્યું કે, તે આ વિમાન દુર્ઘટનામાં ગંભીર સુરક્ષાના ઉલ્લંઘનના કારણે ત્રણ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે બરતરફ કરે. આ આદેશ 12 જૂને સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટો બાદ બોઇંગ 787-8 ડ્રીમલાઇનર ક્રેશ થયાના થોડા દિવસો પછી આવ્યો છે, જેમાં 270થી વધુ લોકોના મોત નિપજ્યા હતાં.
શું હતી ઘટના?
અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય બાદ બી.જે મેડિકલ કોલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા અને ફક્ત એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. આ ઉપરાંત, ઓછામાં ઓછા 29 અન્ય લોકોના મોત નિપજ્યા હતા. મૃતદેહોની ઓળખ માટે ડીએનએ મેચિંગ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 220 DNA સેમ્પલમાંથી 202 મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. જેમાં 160 ભારતીય, 7 પોર્ટુગીઝ, 34 બ્રિટિશ અને 1 કેનેડિયનનો સમાવેશ થાય છે.
ત્રણ અધિકારીને બરતરફ કરવાનો આદેશ
આ દુર્ઘટના બાદ હાથ ધરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન, DGCAએ એર ઈન્ડિયાના ત્રણ કર્મચારીઓને તાત્કાલિક બરતરફ કરવા જણાવ્યું છે. DGCAએ સુરક્ષાના ઉલ્લંઘનોની ગંભીરતાને ધ્યાને રાખીને એર ઈન્ડિયાને આદેશ કર્યો છે કે, આ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે બરતરફ કરવામાં આવે.