Maninderjit Singh Bitta Bhavanagar Visit : જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા છે. જેમાં સુરતના શૈલેષભાઈ કળથિયા અને ભાવનગરના પિતા-પુત્ર સ્મિત અને યતીશભાઈ પરમારનું ગોળીબારમાં મોત નીપજ્યું હતું. ત્યારે ઓલ ઇન્ડિયા એન્ટિ ટેરેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન મનિન્દરજીત સિંઘ બીટ્ટા ભાવનગરની મુલાકાતે આવ્યા હતા. તેમણે પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા કાળિયાબીડના મૃતક પિતા પુત્રના ઘરે શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાંત્વના પાઠવી અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.
ગુજરાતમાં કોઇ આતંકવાદ નથી
આ દરમિયાન મનિન્દરજીત સિંઘ બીટ્ટાએ પત્રકારો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતા આપ્યા છે. જો આપણને આવા નેતાઓ મળ્યા ન હોત તો આપણું શું થાત. આ બે લોકોએ આર્ટિકલ 370 ખતમ કરી નાખી અને કાશ્મીરની સ્થિતિ સામાન્ય કરી દીધી છે. હું ઘણીવાર ગુજરાતની મુકાલે આવ્યું છું, અહીંની પોલીસ સતર્ક જોવા મળે છે. ગુજરાતમાં કોઇ આતંકવાદ નથી.
લોકલ પોલીસ અને ઇન્ટેલિજન્સની ક્યાંકને ક્યાંક ખામી રહી ગઇ હશે
પહલગામ આતંકવાદી હુમલાની ઘટનામાં લોકલ પોલીસ અને ઇન્ટેલિજન્સની ક્યાંકને ક્યાંક ખામી રહી ગઇ હશે જેથી આતંકવાદીઓને હુમલો કરવાનો મોકો મળી ગયો. આતંકવાદીઓએ ધાર્યું હોત તો હજુ પણ વધુ લોકોને મોતને ઘાટ ઉતારી શક્યા હોત.
તેમણે વધુમાં કહ્યું કે પહલગામ આતંકવાદી હુમલા બાદ દરેક લોકોએ મોતનું કફન બાંધવું પડશે. ઇઝરાયલના દરેક બાળકોની જેમ દરેક ભારતવાસીએ પોતાના દેશ માટે દેશભક્ત બનવું પડશે. હવે સમય આવી ગયો છે, 70 વર્ષની કેન્સરની બીમારીને ઝડમૂળથી દૂર કરવી પડશે.
કલમ 370 હટાવી એ રીતે POK લઈ લો
હું પણ કોંગ્રેસી રહી ચુક્યો છું, પણ જે સાચું છે એનો સ્વીકાર કરવો જોઈએ તેમાં રાજકારણ ન જોઈએ. લોકોએ રોડ પર આવી કહેવું પડશે કે મોદીજી જે કરવું હોય તે કરો પણ POK લઇ લો. આગામી ભવિષ્ય માટે ગોળીનો જવાબ ગોળી છે અને રહેશે. મને પ્રધાનમંત્રી પર વિશ્વાસ છે કે તે જે નિર્ણય લેશે તેનો દેશનો દરેક નાગરિક સાથ આપશે. પાકિસ્તાને વારંવાર પીઠ પર ઘા કર્યો છે, હવે જવાબ આપવાનો સમય આવી ગયો છે. કલમ 370 હટાવી એ રીતે POK લઈ લો એ જ સાચી શ્રદ્ધાંજલિ હશે.