Kutch Banni Cheetah Project: ગુજરાતમાં વન્યજીવ પ્રેમીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. કચ્છના પ્રખ્યાત બન્ની વિસ્તારમાં ચિત્તાના આગમનની રાહ હવે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. છેલ્લા બે મહિનાથી નિષ્ણાતોની ટીમ દ્વારા બન્નીના ઘાસના મેદાનોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં આ વિસ્તાર ચિત્તાઓ માટે અનુકૂળ હોવાનું જાણવા મળ્યું છે. નિષ્ણાતોએ ચિત્તાના વસવાટ, તેમના બચાવ અને સુરક્ષા માટેની તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરી લીધી છે. બન્નીનું કુદરતી વાતાવરણ ચિત્તાઓને માફક આવે તેમ હોવાથી હવે તેમને ખુલ્લા મેદાનમાં છોડવા માટેની વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણતાના આરે છે. બધું જ સમુંસૂથરું પાર પડશે તો ચોમાસા બાદ ગુજરાતમાં ચિત્તાનું આગમન થઈ શકે છે.
ભૌતિક સુવિધાઓ અને સુરક્ષા માટે કરોડોનું આયોજન
ચિત્તા પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગુજરાત સરકાર અને વન વિભાગ દ્વારા અંદાજે ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ચિત્તાઓની સુરક્ષા માટે ૬૦૦ હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સુરક્ષા માટે સોલર ફેન્સિંગ અને ક્વોરન્ટાઈન બોમા (ખાસ પ્રકારના વાડા) તૈયાર કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૦ જેટલા મોટા જાળીવાળા પાંજરા પણ તૈયાર કરી લેવાયા છે. વન વિભાગ દ્વારા આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે જેથી ચિત્તાઓને નવા વાતાવરણમાં સેટ થવામાં કોઈ તકલીફ ન પડે અને તેઓ સુરક્ષિત રીતે રહી શકે.
મેડિકલ સુવિધાઓ અને રેસ્ક્યુ ટીમ સજ્જ
ચિત્તાઓના સ્વાસ્થ્ય અને કટોકટીના સમયે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વન વિભાગે વિશેષ તૈયારીઓ કરી છે. મુખ્ય અગ્ર વન સંરક્ષક ડો. જયપાલસિંહે માહિતી આપી હતી કે આધુનિક પશુ ચિકિત્સાના સાધનો અને જરૂરી દવાઓનો જથ્થો પહેલેથી જ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ચિત્તાઓના રેસ્ક્યુ માટે ખાસ એમ્બ્યુલન્સ અને રેસ્ક્યુ વાહનોની ખરીદી કરવાની ભલામણ પણ મંજૂર કરી દેવાઈ છે. નિષ્ણાતોની ટીમે આ તમામ તૈયારીઓ જોઈને સંતોષ વ્યક્ત કર્યો છે. ચિત્તાઓ માટે પૂરતો શિકાર અને અનુકૂળ રહેઠાણ મળી રહે તે માટે વન વિભાગના અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે.
પર્યટન અને પર્યાવરણ માટે નવો આયામ
બન્ની વિસ્તારમાં ચિત્તાઓના આગમનથી માત્ર પર્યાવરણનું સંતુલન જ નહીં સચવાય, પરંતુ કચ્છના પર્યટન ઉદ્યોગને પણ મોટો વેગ મળશે. એશિયાટિક સિંહ બાદ હવે ચિત્તા પણ ગુજરાતની ઓળખ બનશે. કેન્દ્ર સરકારના નિષ્ણાતોએ બે વાર મુલાકાત લીધા બાદ લીલી ઝંડી આપી દીધી હોવાથી વન વિભાગમાં ઉત્સાહનો માહોલ છે. ચોમાસા પછી જ્યારે બન્નીના ઘાસના મેદાનો હરિયાળા હશે, ત્યારે ચિત્તાઓને મુક્ત કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે. આ પ્રોજેક્ટ સફળ થવાથી ગુજરાત વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ફરી એકવાર ચર્ચામાં આવશે અને સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો પણ પ્રાપ્ત થશે.

