Morbi Jetpar Farmers Hunger Strike: “ગામની જમીન ગામની, નથી કોઈના બાપની”ના નારા સાથે ગાજ્યું જેતપર
Morbi Jetpar Farmers Hunger Strike: મોરબી તાલુકાના જેતપર ગામે ખાનગી વીજ કંપની અને સ્થાનિક જગતના તાત વચ્ચે વળતર મુદ્દે ચાલી રહેલો ગજગ્રાહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ખેડૂતોની કિંમતી જમીનમાં કોઈપણ પ્રકારનું વળતર ચૂકવ્યા વિના જ બળજબરીપૂર્વક આડેધડ હાઈટેન્શન વીજપોલ (Power Tower) નાખવાની કંપનીની કથિત નીતિ સામે રોષે ભરાયેલા ગ્રામજનોએ આરપારની જંગ છેડી દીધી છે. અગાઉ કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજવા છતાં કોઈ પરિણામ ન આવતા આખરે ખેડૂતોએ “જય જવાન-જય કિસાન” અને “ગામની જમીન ગામની, નથી કોઈના બાપની”ના ગગનભેદી નારા સાથે આમરણાંત ઉપવાસ આંદોલનનું રણશિંગું ફૂંકી દીધું છે.
રામજી મંદિરથી ઉપવાસ છાવણી સુધી નીકળી ભવ્ય રેલી, સંતો પણ જોડાયા
આંદોલનના ભાગરૂપે જેતપર ગામમાં આવેલ ઐતિહાસિક રામજી મંદિરથી લઈને ઉપવાસી છાવણી સુધી સ્થાનિક સંતો-મહંતોની આગેવાનીમાં ખેડૂતોની એક વિશાળ જન આક્રોશ રેલી યોજાઈ હતી. આ આંદોલનને આધ્યાત્મિક સમર્થન આપતા ગામના મંદિરના પૂજ્ય મહંત તેમજ ત્રણ પીડિત ખેડૂતો મળીને કુલ ચાર વ્યક્તિઓએ અન્ન-જળનો ત્યાગ કરીને આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. ઉપવાસી ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે જમીન સંપાદનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને જ્યાં સુધી કંપની લેખિત બાંયધરી ન આપે ત્યાં સુધી ખેતરોમાં કોઈપણ પ્રકારની વહીવટી કામગીરી કરવા દેવામાં આવશે નહીં.
વળતર સાથે માસિક ભાડું ચૂકવવાની માંગ, કાયદાકીય લડતની તૈયારી
જેતપરના ખેડૂતોએ વન ટાઈમ સેટલમેન્ટ ઉપરાંત એક મહત્વની માંગણી એ પણ મૂકી છે કે વીજ કંપની દ્વારા તેમના ખેતરોની જમીન રોકવામાં આવતી હોવાથી તેમને નિયમિત માસિક ભાડું (Monthly Rent) પણ ચૂકવવામાં આવે. ખેડૂતોનું કહેવું છે કે હાઈટેન્શન લાઈન પસાર થવાના કારણે તેમની આખી જમીનની બજાર કિંમત શૂન્ય થઈ જાય છે અને ભવિષ્યમાં ત્યાં કોઈ મોટો પાક લઈ શકાતો નથી. આ નુકસાનીના વળતર માટે માત્ર વહીવટી આશ્વાસન નહીં, પરંતુ કાયદેસરનો હક્ક ન મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવા તમામ ગ્રામજનો મક્કમ દેખાઈ રહ્યા છે.
ભાજપના રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ ખેડૂતોના સમર્થનમાં આવ્યા
આ વિરોધ પ્રદર્શનમાં તે સમયે મોટો રાજકીય વળાંક આવ્યો જ્યારે રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના સગા ભાઈ રાકેશ અમૃતિયા (Rakesh Amrutiya) પણ ખેડૂતોની ઉપવાસ છાવણીએ ખાસ હાજર રહ્યા હતા. તેમણે જાહેર મંચ પરથી તંત્રની કાનૂની નીતિઓ પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, “હું આ ગામનો દીકરો અને પોતે એક ખેડૂત હોવાના નાતે ગ્રામજનોની સાથે ઊભો છું. ખેડૂતોની માંગણીઓ તદ્દન વ્યાજબી છે છતાં તંત્ર અને ખાનગી કંપની તેમની વાત સાંભળતી નથી.” મંત્રીના પરિવારજન તરફથી જ મળેલા આ ખુલ્લા સમર્થન બાદ ખેડૂતોનો ઉત્સાહ બમણો થયો છે અને પૂરતું વળતર ન મળવા પર આંદોલન આખા રાજ્યમાં વિસ્તારવાની ચીમકી અપાઈ છે.

