PM Modi distances from Bachu Khabad: મનરેગા કૌભાંડે ગુજરાત સરકારની પ્રતિષ્ઠા ધૂળધાણી કરી છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મંત્રી બચુ ખાબડથી દૂરી બનાવી રાખી છે. દિલ્હીથી અપાયેલી સૂચનાને કારણે રાજ્યકક્ષાના કૃષિ મંત્રી બચુ ખાબડ સતત બીજા દિવસે પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આયોજીત કાર્યક્રમમાં દેખાયા ન હતાં, તે ચર્ચાનો વિષય બન્યો હતો.
મંત્રી બચુ ખાબડ દેખાયાં ન હતાં
ગુજરાત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં બનેલું રેલવે એન્જિન દેશને સમર્પિત કર્યું હતું. આ ઉપરાંત કરોડો રૂપિયાના વિકાસના કામોનું લોકાપર્ણ અને ખાતમુહુર્ત કર્યુ હતું. આ પ્રસંગે પણ મંત્રી બચુ ખાબડની ગેરહાજરી રહી હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિરમાં શહેરી વિકાસના 20 વર્ષની ઉજવણીના ભાગરુપે આયોજીત સમારોહમાં ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના બધાય સભ્યો હાજર રહ્યા હતાં પણ મંત્રી બચુ ખાબડ દેખાયાં ન હતાં.
મનરેગા કૌભાંડને કારણે મંત્રી બચુ ખાબડને સ્ટેજ પર બેસાડવા ન પડે તે માટે આયોજનબધ્ધ રીતે માત્ર કેબિનેટ મંત્રીઓને જ મંચ પર સ્થાન આપવામાં આવ્યુ હતું. એકેય રાજ્યકક્ષાના મંત્રીને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા ન હતાં. જો રાજ્યકક્ષાના મંત્રીઓને સ્ટેજ પર સ્થાન અપાયુ હોય તો બચુ ખાબડનો મુદ્દો લોકોની નજરે ચડ્યો હતો.
આ કારણોસર પર મંત્રીઓની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરાયો હતો. ઉલ્લેખનીય છેકે, દિલ્હી હાઇકમાન્ડની સૂચનાને પગલે બચુ ખાબડ નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન ક્યાંય દેખાયાં નથી. કૌભાંડી પુત્રોને કારણે બચુ ખાબડનું મંત્રીપદ જોખમાયુ છે. હવે બચુ ખાબડને મંત્રીપદેથી રાજીનામુ આપવું પડશે કે પછી મંત્રીમંડળના વિસ્તરણના નામે તેમની હકાલટ્ટી કરાશે તે પાટનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.