અમદાવાદઃ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પહેલીવાર જોવા મળેલો ચાંદીપુરા વાયરસ સૌરાષ્ટ્ર તો પહોંચ્યો જ હતો, પણ હવે દક્ષિણ ગુજરાતમાં પણ પહોંચ્યો છે. સુરતમાં પહેલો કેસ ચાંદીપુરાનો નોંધાયો હોવાના અહેવાલ છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આજરોજ 21મી જુલાઈ રવિવારે સુરતમાં પહેલો શંકાસ્પદ કેસ નોંધાયો છે. 11 વર્ષની બાળકીને તાવ આવ્યા બાદ ઊલટી અને બે-ત્રણ વાર ખેંચ આવતા ICUમાં દાખલ કરાઈ છે. આ ઉપરાંત આજે રાજકોટમાં પણ વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. જેના પગલે ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 73 થઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 27 થયો છે. હાલ 42 દર્દીઓ દાખલ છે, જ્યારે ત્રણ દર્દીને રજા આપી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યારસુધી ચાંદીપુરા વાયરસની સૌથી વધુ અસર ગ્રામીણ વિસ્તારમાં હતી, પણ હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવાં મોટાં શહેરોમાં પણ કેસ નોંધાઈ રહ્યા છે. ચાંદીપુરા વાયરસ માટે સરકારે હેલ્પલાઈન નંબર 104 શરૂ કરી છે, જેમાં આ વાયરસના તમામ કેસોમાં સારવાર સંબંધી માહિતી મળી રહેશે.

