જ, તા. 25 : આમ્રવૃક્ષ ઉપર કેરી પાકે ત્યાં સુધી લોકો રાહ જોઇ શકતા ન હોવાથી બજારમાં કેરી કુદરતી રીતે પાકી આમ્રફળમાં પરિવર્તિત થાય એ પહેલાં જ વેચાવા લાગે છે અને જે કૃત્રિમ રીતે કેલ્શિયમ કાર્બાઇડ જેવા પદાર્થથી પકાવવામાં આવતી હોવાથી સરવાળે આરોગ્યને નુકસાન કરે છે, ત્યારે વર્તમાન સમયમાં ફળોના રાજાને આરોગતાં પહેલાં જરૂરી સાવધાની રાખવા જણાવાયું છે.
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલના ડાયટિશિયન અનિલાબેન પરમાર અને ઉર્વીબેન મોતાએ કહ્યું કે, બિનપ્રાકૃતિક રીતે પાકેલી કેરી ખાવાથી અનેક નુકસાન થઇ શકે છે. એક તો લાંબા સમય સુધી રસાયણના સંપર્કમાં કેરી પડી હોય તો તેને અડવાથી ચામડી ઘણીવાર લાલ થઇ જાય છે અને ખંજવાળ આવે છે. જો ધોયા વિના ખાવામાં આવે તો વધુ ગરમ લાગવાથી મોઢામાં ચાંદા પણ પડી શકે છે.

નબળી રોગપ્રતિકારક શક્તિ હોય તેમને તો પેટમાં અલ્સર પણ થઇ શકે છે. ગળું ખરાબ થઇ શકે છે, જ્યારે કેટલાકને ગેસની સમસ્યા પણ સર્જાય છે. સાવધાની રાખવા અંગે બંને આહાર શાત્રીએ જણાવ્યું કે, બજારમાંથી તુરંત લાવેલા આમ્રફળને ફ્રીઝમાં રાખવાની રીત યોગ્ય નથી. આવા ફળને ધોઇ નાખવા. તેમણે એમ પણ ઉમેર્યું કે, માત્ર ધોવા જ નહીં, પણ ચાર-પાંચ કલાક સુધી પાણીમાં પલાળી રાખવા. આવું કરવાથી જોખમ ટાળી શકાય છે. આમ આ ફળોના રાજામાં શરીરને તંદુરસ્ત રાખવાના અનેક ગુણો છે, પણ સાવધાની રખાય તો ફાયદો થઇ શકે.

