નવી દિલ્હી : કેન્દ્રમાં ત્રીજી વખત સરકાર બનાવવા માટે નરેન્દ્ર મોદી રવિવારે વડાપ્રધાન તરીકે શપથ લેશે. ત્યારે કોંગ્રેસ(Congress) પક્ષમાં અનેક ચર્ચાઓ તેજ બની છે. જેમાં આ વખતે કોંગ્રેસ પાર્ટી મજબૂત વિપક્ષ તરીકે પોતાની ભૂમિકા ભજવવા જઈ રહી છે. શનિવારે સાંજે લોકસભા અને રાજ્યસભાના પાર્ટી સાંસદોની બેઠક છે. આ બેઠકમાં સોનિયા ગાંધી ફરીથી કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ શકે છે. જ્યારે આ બેઠકમાં પાર્ટીના નેતા રાહુલ ગાંધીને મુખ્ય ભૂમિકા સોંપવાની માંગ પણ થઈ શકે છે. રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવામાં આવી શકે છે. આ વખતે રાહુલ ગાંધી કેરળની વાયનાડ અને રાયબરેલી બંને બેઠકો પરથી લોકસભા ચૂંટણી જીત્યા છે.

વિરોધ પક્ષોમાં કોંગ્રેસે સૌથી વધુ બેઠકો જીતી
રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવા જોઈએ તેને લઈને આજે સાંજે યોજાનારી કોંગ્રેસની બેઠકમાં કેસી વેણુગોપાલ, મણિકમ ટાગોર અને ગૌરવ ગોગોઈ સહિતના પક્ષના સાંસદો દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવે તેવી અપેક્ષા છે. લોકસભામાં કોંગ્રેસના નેતા ગૃહમાં વિરોધ પક્ષના નેતા હશે કારણ કે લોકસભા ચૂંટણીમાં પક્ષે વિરોધ પક્ષોમાં સૌથી વધુ બેઠકો જીતી છે.
જાહેરાત પછીથી થઈ શકે છે
જેમાં પાર્ટીના સૂત્રોએ કહ્યું કે તે સોનિયા ગાંધી પર નિર્ભર રહેશે કે તેઓ રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે પસંદ કરે છે કે પછી કોઈ અન્ય નેતાની પસંદગી કરે છે. આ મુદ્દે અત્યારે કોઈ નિર્ણય લેવાય તેવી આશા ઓછી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બાદમાં પ્રેસ રિલીઝ દ્વારા આ અંગે પોતાનો અભિપ્રાય આપશે. સોનિયા ગાંધી હાલમાં રાજ્યસભાના સભ્ય છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે.
કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું
જેમાં આજે સવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે, જેમાં લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શનની પ્રશંસા કરવામાં આવશે. પાર્ટીના સારા પ્રદર્શનનો શ્રેય રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેને આપી શકાય. પાર્ટીએ 2014 અને 2019ની છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં 44 અને 52 બેઠકોની સરખામણીમાં આ વખતે 99 લોકસભા બેઠકો જીતી છે.

