Air India Flight Technical Issue: અમદાવાદ પ્લેન ક્રેશ બાદ ફ્લાઈટમાં મુસાફરી કરતાં લોકોમાં ભયનો માહોલ છે ત્યારે એર ઈન્ડિયાના વિમાનોમાં એક બાદ એક ખામી સર્જાવવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. એવામાં મુંબઈથી અમદાવાદ આવી રહેલી ફ્લાઈટ AI2493 રદ કરવી પડી હતી.
મુસાફરોએ મચાવ્યો હોબાળો
નોંધનીય છે કે ફ્લાઇટ રનવે પર પહોંચી તે બાદ રનવે પર જ ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. વિમાનમાં સવાર મુસાફરોનો દાવો છે કે પાઇલોટે કહ્યું હતું કે, જો ટેકઓફ થાય તો તેમની જવાબદારી નહીં રહે. એવામાં મુસાફરોએ ભારે હોબાળો પણ મચાવ્યો હતો અને વિમાનમાંથી ઉતરી ગયા હતા. બાદમાં મુસાફરોને બે વિકલ્પ આપવામાં આવ્યા હતા, રિફંડ લઈને એરપોર્ટ પર સામાન માટે રાહ જુઓ અથવા ફ્લાઇટ રિપેર થાય તેની રાહ જુઓ.
દિલ્હીથી રાંચી જતી ફ્લાઇટ પરત મોકલી
આ સિવાય, સોમવારે દિલ્હીથી રાંચી જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટને શંકાસ્પદ ટેકનિકલ સમસ્યાને કારણે ટેકઓફ કર્યા પછી તરત જ દિલ્હી પરત વાળવામાં આવી હતી. બોઇંગ 737 મેક્સ 8 વિમાન સાંજે 6:20 વાગ્યે રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર લેન્ડિંગ કરવાનું હતું.
નિરીક્ષણ અને મંજૂરી પછી ફ્લાઇટ ફરી શરૂ થઈ
એર ઈન્ડિયાના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, નિરીક્ષણ અને મંજૂરી બાદ, વિમાને તેનું સામાન્ય સંચાલન ચાલુ રાખ્યું હતું. પ્રવક્તાએ કહ્યું કે, ‘અમારા એક વિમાનમાં શંકાસ્પદ ટેકનિકલ સમસ્યાને કારણે ટેકઓફ પછી દિલ્હી પરત ફર્યું. નિરીક્ષણ અને મંજૂરી બાદ વિમાને સુનિશ્ચિત સંચાલન ચાલુ રાખ્યું. અસુવિધા બદલ અમને દિલગીર છે.’