અમદાવાદ, તા. 13 : આઝાદીના 78 વર્ષની ઉજવણીના ભાગરૂપે 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમ્યાન હર ઘર તિરંગા અભિયાન અને તિરંગાયાત્રા યોજાઈ રહી છે. જેને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વિરાટનગરથી લઈ ખોડિયાર મંદિર સુધી ત્રણ કિલોમીટર લાંબી તિરંગાયાત્રાને ધ્વજ લહેરાવી શરૂ કરાવી હતી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી હૃષીકેશ પટેલના સહિતના રાજકીય નેતાઓએ હાજરી આપી હતી. તિરંગાયાત્રામાં લોકો ભારે ઉત્સાહથી જોડાતાં સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું.

ખાસ કરીને રોડની બંન્ને બાજુ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલનો જુસ્સો વધાર્યો હતો. આ તિરંગાયાત્રામાં મહિલા પોલીસની પરેડ યોજાઈ હતી. જ્યારે 120થી વધુ પોલીસ જવાને બાઈકયાત્રા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, હર ઘર તિરંગા અભિયાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલો કાર્યક્રમ દેશ ભક્તિની અભિવ્યક્તિની સાથે સાથે 2047માં મહાન અને વિકસિત ભારતનું એક પ્રતીક બન્યું છે, 15મીએ દરેક ઘર પર, વાહન પર તેમજ ઓફિસ અને કચેરી પર તિરંગો લહેરાય અને દેશભક્તિનું વાતાવરણ ઊભું થાય તેવું કાર્ય કરવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશને મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવ ગાન કરવા માટે તેમજ આઝાદીના લડવૈયાઓને યાદ કરવા માટે હર ઘર તિરંગાયાત્રાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેરણા આપી છે. આ અમૃતકાળ ચાલી રહ્યો છે, 2047માં આપણે આઝાદીની શતાબ્દી ઊજવવાના છીએ.

