Coal Mine Collapse In Jharkhand: ઝારખંડના રામગઢમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં કોલસાની ખાણ ધસી પડવાથી ત્રણ લોકોના મોત થયા છે અને હજુ સાત લોકો કાટમાળમાં ફસાયા છે. ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અહેવાલો અનુસાર, આ કોલસાની ખાણ ગેરકાયદે હતી, કારણ કે સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (CCL)એ અહીં કોલસાની ખાણનું કામ બંધ કરી દીધું હતું, તેમ છતાં કોલસાની ખાણમાં આઠ લોકો કામ કરી રહ્યા હતા.
રાહત અને બચાવનું કામ ચાલી રહ્યું છે
અહેવાલો અનુસાર, રામગઢના કુજુના મહુઆ ટુંગરી વિસ્તારમાં શુક્રવારે (ચોથી જુલાઈ) રાત્રે ગેરકાયદે કોલસાનું ખનન ચાલી રહ્યું હતું. આ દરમિયાન ભારે વરસાદના કારણે કોલસાની ખાણ અચાનક ધસી પડી હતી. જેના કારણે ખાણમાં કામકરતા આઠ જેટલા શ્રમિકો ફસાયા હતા.જેમાંથી ત્રણનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા રાહત અને બચાવની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
મૃતકોની ઓળખ કરમાલી, ઇમ્તિયાઝ અને નિર્મલ મુંડા તરીકે થઈ છે. ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. JCB અને અન્ય મશીનોની મદદથી કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે જેથી અંદર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય.
ધનબાદમાં પણ જમીન ધસી પડવાની ઘટના બની હતી
અગાઉ ધનબાદમાં પણ જમીન ધસી પડવાનો ઘટના બની હતી. જમીન ધસી પડવાથી પાંચ ઘરોને નુકસાન થયું. આમાંથી એક ઘર સંપૂર્ણપણે ધ્વસ્ત થયું હતું. સદભાગ્યે ઘટના સમયે ઘરમાં કોઈ નહોતું. બધા ઘરની બહાર હતા, તેથી કોઈ જાનહાનિના થઈ ન હતી.