Iran Conflict India Impact: ખામેનેઈનું મોત ભારત માટે પડકાર, તેલ મોંઘું થવા ઉપરાંત આ વસ્તુઓ પર પડશે અસર

Arati Parmar
5 Min Read

Iran Conflict India Impact: શનિવાર એટલે કે ૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં ઈરાનના ૮૬ વર્ષીય સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ તેહરાન ઓફિસમાં માર્યા ગયા. ઈરાનના સરકારી મીડિયાએ આની પુષ્ટિ કરી. જવાબી કાર્યવાહીમાં ઈરાને ઈરાક, ખાડી દેશો અને ઈઝરાયેલમાં અમેરિકી બેઝ પર મિસાપલ દાગી.

નક્કી હતા વારસદાર

ખામેનેઈની હત્યા બાદ ઈરાનની સત્તા ખાલી થઈ ગઈ. ત્યાંનું બંધારણ કહે છે કે એક્સપર્ટ્સ એસેમ્બલી જ્યાં સુધી ઉત્તરાધિકારી ન પસંદ કરે ત્યાં સુધી ત્રણ લોકોની અસ્થાયી કાઉન્સિલ જ સુપ્રીમ ઓથોરિટી સંભાળશે. આમાં રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન, જ્યુડિશરી પ્રમુખ ગુલામ હુસૈન મોહસેની ઈજેહી અને ગાર્ડિયન કાઉન્સિલ જ્યુરિસ્ટ સામેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે ખામેનેઈએ ગયા વર્ષે જ યુદ્ધ દરમિયાન અનેક સંભવિત વારસદારો નક્કી કરી લીધા હતા. આમાં ઈરાની મદ્રેસાના પ્રમુખ અયાતુલ્લા અલીરેઝા અરાફી, અયાતુલ્લા મોહસેન અરાકી અને અયાતુલ્લા હાશેમ હુસૈની બુશહરી અને સંભવતઃ જ્યુડિશરી પ્રમુખ મોહસેની ઈજેહી સામેલ છે. આ ઉપરાંત, ખામેનેઈના ૫૬ વર્ષીય પુત્ર મોજતબા ખામેનેઈ અને હસન ખુમૈનીનું પણ નામ છે.

- Advertisement -

IRGC કરોડરજ્જુ

ત્રણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પહેલી, યથાસ્થિતિ જાળવી રાખવી. આ હેઠળ મૌલવી આઈડિયોલોજી જળવાઈ રહેશે અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) તાકાત આપતી રહેશે. બીજી, IRGC દ્વારા સીધું મિલિટ્રી ટેકઓવર, સુરક્ષા સિસ્ટમનો દબદબો અને મૌલવી સંસ્થાઓને હટાવવામાં આવશે. ત્રીજી શક્યતા છે કે અમીરો વચ્ચે સંઘર્ષ થશે, મોટા પાયે વિરોધ-પ્રદર્શન કરવામાં આવશે અથવા પક્ષપલટા વચ્ચે સરકાર પડી જશે. જોકે, એવું નથી લાગતું કે લોકશાહી આવશે.

ટકરાવનો ખતરો

ઈરાનની અર્થવ્યવસ્થા પહેલાથી જ નબળી છે. દેશ પ્રતિબંધો, મોંઘવારી, કરન્સીમાં ઘટાડો જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. જો નવું નેતૃત્વ પણ કટ્ટરપંથી હોય છે, તો અમેરિકા સાથે ટકરાવ વધવાનો ખતરો છે. માત્ર એક વ્યવહારુ અને વાતચીત માટે તૈયાર નવો નેતા જ પ્રતિબંધોમાં રાહત અપાવી શકે છે. પરંતુ, જો લોકોને લાગ્યું કે તે દબાણમાં નમીને સમજૂતી કરી રહ્યો છે, તો ઘરેલુ મોરચે મુશ્કેલી થશે.

- Advertisement -

અમેરિકાનો વિરોધ

ઈરાને જવાબી કાર્યવાહીમાં ઈરાકી કુર્દિસ્તાન અને ખાડી દેશો સહિત બે ડઝનથી વધુ અમેરિકી બેઝને નિશાન બનાવ્યા. દોહા, દુબઈ અને મનામામાં પણ હુમલા થયા. ઈઝરાયેલે મોટાભાગની મિસાઈલો નષ્ટ કરી દીધી, પરંતુ આખા દેશમાં સાયરન વાગ્યા. ઈરાક, યમન અને લેબનાનમાં ઈરાન સમર્થિત મિલિશિયા સંઘર્ષ વધારવા તૈયાર છે. આર્મ્ડ ફોર્સીસના પ્રમુખ મૌસવી, સંરક્ષણ મંત્રી નાસિરઝાદેહ અને IRGC પ્રમુખ પાકપુર જેવા વરિષ્ઠ કમાન્ડરોની હત્યાથી કમાન્ડ એન્ડ કંટ્રોલ નબળો પડ્યો. બગદાદથી કરાચી અને શ્રીનગર સુધી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

બદલાવ સંભવ

‘એક્સિસ ઓફ રેઝિસ્ટન્સ’ સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. હિઝબુલ્લાહ, હુથી અને ઈરાકી મિલિશિયાએ મુખ્ય સંરક્ષક અને સ્ટ્રેટેજિક કોઓર્ડિનેટર ગુમાવ્યા છે. નાના હુમલા થઈ શકે છે, પરંતુ તેહરાનના નિર્દેશ અને ફંડિંગ વગર પ્રોક્સી વોર નબળી પડી શકે છે. કાચા તેલની કિંમતો વધી રહી છે. આવનારા અઠવાડિયામાં એક્સપર્ટ્સ એસેમ્બલીની બેઠક, IRGCની મજબૂતી કે નબળાઈ અને સામાન્ય લોકોનો ગુસ્સો જેવી ત્રણ વાતો પર ધ્યાન રહેશે. ખામેનેઈના મોતથી ૩૬ વર્ષનું સંતુલન તૂટી ગયું છે. ઈરાન હવે વણચકાસાયેલી કાઉન્સિલ, વિરોધી દાવેદાર અને યુદ્ધની પરિસ્થિતિઓમાં ઉભું છે.

- Advertisement -

ભારત પર અસર

ખામેનેઈની હત્યા ભારત માટે પણ ગંભીર પડકાર છે. ઈરાન સાથે આર્થિક, વ્યૂહાત્મક અને રાજદ્વારી સંબંધો છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તેલ પર નિર્ભર ભારતની ઉર્જા સુરક્ષા જોખમમાં છે. ઈરાનની જવાબી કાર્યવાહી, શિપિંગ રુકાવટ અને સ્ટ્રેટ બંધ કરવાની ધમકીઓથી કાચું તેલ ૧૦૦ ડોલરથી વધુ પ્રતિ બેરલ સુધી જઈ શકે છે, જેનાથી ફ્યુઅલ, ટ્રાન્સપોર્ટ અને દવાઓ મોંઘી થઈ શકે છે. ચાબહાર પોર્ટ, લાંબા રોકાણ અને ૨૦૨૪ એગ્રીમેન્ટ હોવા છતાં નેતૃત્વ પરિવર્તન, જૂથબંધી અને અમેરિકી પ્રતિબંધથી અનિશ્ચિતતા છે. આનાથી પાકિસ્તાનને બાયપાસ કરવાની અને ચીનની અસર ઓછી કરવાની ભારતની વ્યૂહરચના પ્રભાવિત થઈ શકે છે.

રહેશે ઉથલપાથલ

ડિપ્લોમેટિક સ્તરે ભારત નાજુક સંતુલન જાળવી રાખે છે. વિદેશ મંત્રાલયે ઊંડી ચિંતા વ્યક્ત કરી અને વાતચીતની અપીલ કરી. ઈરાનની દિલ્હી એમ્બેસીએ સાર્વજનિક રીતે શોક વ્યક્ત કર્યો, જ્યારે કાશ્મીર અને લખનઉમાં શિયા સમુદાયે વિરોધ કર્યો. કુલ મળીને ખામેનેઈના મોતથી અત્યારે સ્થિતિ અસ્થિર થઈ શકે છે. તેલ મોંઘું થઈ શકે છે અને ક્ષેત્રમાં તણાવ વધી શકે છે. આગળ નવો નેતા કોણ અને કેવો હશે, તેના પર જ ભારતની કૂટનીતિ નિર્ભર કરશે.

Share This Article