Jahangir Khan Arrest: ચૂંટણી હિંસા અને છેડછાડના આરોપમાં ટીએમસી નેતા જહાંગીર ખાન નેપાળ બોર્ડર પાસેથી ઝડપાયા

Arati Parmar
3 Min Read

Jahangir Khan Arrest: પશ્ચિમ બંગાળ એસટીએફ (STF) એ ફાલ્ટાથી ચૂંટણી લડનારા ટીએમસી નેતા જહાંગીર ખાનની ધરપકડ કરી છે. ફાલ્ટા ચૂંટણીમાં હિંસાના આરોપી જહાંગીર ખાન લાંબા સમયથી ગુમ હતા. નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણી દરમિયાન હિંસાને કારણે ફાલ્ટામાં મતદાન રોકી દેવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાન તેણે પોલીસ અધિકારીને ‘પુષ્પા ઝુકેગા નહીં’ કહીને પડકાર ફેંક્યો હતો. ૨૧ મેના રોજ આ સીટ પર ફરીથી ચૂંટણી યોજાઈ હતી. મતદાનના બરાબર પહેલા જ જહાંગીર ખાને પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જોકે જહાંગીરે તે સ્પષ્ટ કર્યું ન હતું કે આ નિર્ણય પાછળ પાર્ટી નેતા અભિષેક બેનર્જી કે તૃણમૂલના શીર્ષ નેતૃત્વનો કોઈ નિર્દેશ છે કે નહીં. જોકે તૃણમૂલે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ નિર્ણય જહાંગીરનો અંગત નિર્ણય છે, પાર્ટીનો નિર્દેશ નહીં.

આઈપીએસ અજયપાલ શર્મા સાથે થયો હતો વિવાદ

ફાલ્ટામાં ચૂંટણી દરમિયાન ટીએમસી નેતા જહાંગીર ખાન પર ઈવીએમ (EVM) સાથે છેડછાડના આરોપો લાગ્યા હતા. આ ઉપરાંત ચૂંટણી ઓબ્ઝર્વર બનાવવામાં આવેલા આઈપીએસ અજયપાલ શર્માની કડકાઈ બાદ તેમના નિવેદનોએ ચર્ચા જગાવી હતી. જહાંગીર ખાને કહ્યું હતું કે જો અજયપાલ શર્મા સિંઘમ છે તો તે પુષ્પા છે. ચૂંટણીમાં ગડબડીના રિપોર્ટ બાદ ચૂંટણી પંચે ફાલ્ટાની ચૂંટણી રદ કરી દીધી હતી. ૨૬ મેના રોજ ફાલ્ટામાં ફરી મતદાન થયું. ત્યારે જહાંગીર ખાને વોટિંગના બે દિવસ પહેલા પોતાને ચૂંટણીથી અલગ કરી લીધા હતા. ફાલ્ટામાં ભાજપની જીત થઈ અને જહાંગીર ખાન ચોથા સ્થાને રહ્યા. જહાંગીર ખાનને ટીએમસી મહાસચિવ અભિષેક બેનર્જીના નજીકના માનવામાં આવે છે. ફાલ્ટામાં કારમી હાર બાદ ટીએમસીની અંદર પણ ઘણો હોબાળો થયો અને અભિષેક બેનર્જીના નેતૃત્વ પર સવાલો ઉઠ્યા હતા.

- Advertisement -

જહાંગીર ખાન વિરુદ્ધ નોંધાયેલા હતા આ કેસ

જહાંગીર ખાન વિરુદ્ધ જબરદસ્તી વસૂલાત, ધમકી આપવી, રાજકીય હિંસા અને કાયદો-વ્યવસ્થા બગાડવા સાથે જોડાયેલા સાતથી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા હતા. જહાંગીર આ તમામ કેસોમાં સતત ફરાર ચાલી રહ્યો હતો. પોલીસ તેની શોધમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી હતી. સ્થાનિક સ્તરે પ્રભાવ અને દબદબાને કારણે જહાંગીર ખાનને લોકો ‘ફાલ્ટાનો પુષ્પા’ પણ કહીને બોલાવતા હતા.

પોતાને કહ્યો હતો પુષ્પા

નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને પ્રથમવાર પશ્ચિમ બંગાળમાં સફળતા મળી હતી. સત્તા સંભાળ્યા બાદ શુભેન્દુ અધિકારીએ ફાલ્ટામાં ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો. પ્રચાર દરમિયાન તેમણે જહાંગીર ખાનને પડકાર ફેંકતા કહ્યું હતું કે જનતા હવે ‘પુષ્પા’ને હરાવશે. ચૂંટણી દરમિયાન જહાંગીર ખાને આઈપીએસ અજયપાલ શર્માને લલકારતા કહ્યું હતું કે જો તે સિંઘમ છે તો અમે પણ પુષ્પા છીએ. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે બુધવારે પણ શુભેન્દુ અધિકારીએ ભાજપ ઉમેદવાર સાથે રોડ શો કર્યો હતો.

- Advertisement -

આ પણ વાંચો: INDIA Alliance: વિપક્ષી ‘ઇન્ડિયા’ ગઠબંધનની દિલ્હીમાં મહાબેઠક: ૨૩ પક્ષો એકમંચ પર આવશે, શું ભાજપ સામે ટકી શકશે? – Newz Cafe

Share This Article