મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે જણાવ્યું હતું કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નવેમ્બરના બીજા અઠવાડિયામાં યોજાવાની શક્યતા છે અને સત્તાધારી મહાયુતિના ઘટક પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીને આગામી 8થી 10 દિવસમાં અંતિમ રૂપ આપવામાં આવશે.
288-સભ્યોની રાજ્ય વિધાનસભા માટે બે તબક્કાનું મતદાન વધુ સારું રહેશે એમ શિંદેએ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે મીડિયા સાથેની અનૌપચારિક ચર્ચામાં જણાવ્યું હતું.
શિંદેની આગેવાની હેઠળની શિવસેના, ભાજપ અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીની બનેલી મહાયુતિ સરકાર વિકાસ અને કલ્યાણના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને લોકો તરફથી તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

નવેમ્બરના બીજા સપ્તાહમાં ચૂંટણી થવાની સંભાવના છે. બે તબક્કાની ચૂંટણી વધુ યોગ્ય બની રહેશે. મેરિટ અને સારો સ્ટ્રાઈક રેટ મહાયુતિના સાથી પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી માટે માપદંડ હશે, એમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
બેઠકોની વહેંચણી આગામી 8થી 10 દિવસમાં નક્કી કરી નાખવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.
શિંદેએ કહ્યું હતું કે તેઓ મહિલાઓમાં સરકારને સમર્થન જોઈ શકે છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારે સામાન્ય માણસની સરકાર છે.

