Prashant Kishor election statement Bihar: બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળો પર પ્રશાંત કિશોરે આખરે વિરામ મૂકી દીધો છે. જન સુરાજ અભિયાનના સંસ્થાપક અને ચૂંટણી વ્યૂહનીતિકાર રહેલા પ્રશાંત કિશોરે સ્પષ્ટ કરી દીધું કે, બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં નહીં ઉતરે.
પ્રશાંત કિશોરે કરી સ્પષ્ટતા
પ્રશાંત કિશોરે સ્પષ્ટ કર્યું કે, તે ચૂંટણી મેદાનમાં નહીં ઉતરે. પરંતુ, જન સુરાજ જો 150 બેઠક નહીં જીતે તો તેને તે પોતાની વ્યક્તિગત હાર માનશે. પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘ના, હું ચૂંટણી નહીં લડું. પાર્ટીએ જે નિર્ણય લીધો છે, એ જ કરીશ. હું એ જ સંગઠનાત્મક કામ શરુ રાખીશ જે પાર્ટીના મોટા હિત માટે અત્યાર સુધી કરતો રહ્યો છું. જો જન સુરાજ 150થી ઓછી બેઠક લાવે છે તો આ મારી હાર હશે અને જો આનાથી વધારે બેઠક મળી તો તે બિહારની જનતાની જીત હશે.’
બિહારના રાજકારણમાં ઐતિહાસિક પગલું
વધુમાં તેમણે કહ્યું કે, ‘જો જન સુરાજની સરકાર બની તો બિહારના રાજકારણમાં એક ઐતિહાસિક પગલું લેવામાં આવશે. સરકાર બનતાં જ 100 સૌથી ભ્રષ્ટ નેતા અને ઑફિસરો પર કાર્યવાહી કરવા માટે નવો કાયદો બનાવવામાં આવશે. આ એવા નેતા અને અધિકારીઓ માટે ચેતવણી છે, જે પ્રાર્થના કરી રહ્યા છે કે જન સુરાજ સત્તામાં ન આવે. કારણ કે, જો જન સુરાજની સરકાર બની તો તેમના ખરાબ દિવસોની શરુઆત થઈ જશે.’
આરજેડી અને લાલુના પરિવાર પર સીધો પ્રહાર
લાલુ યાદવ અને આરજેડી પર પ્રહાર કરતાં પ્રશાંત કિશોરે કહ્યું કે, લાલુ પરિવાર પર આટલા ભ્રષ્ટાચારના આરોપ અને ચાર્જશીટ છે કે, હવે લોકો તેને વાંચતા પણ નથી. આરજેડી અને લાલુ પરિવારે એટલા કૌભાંડો કર્યા છે, એટલા કેસ ચાલી રહ્યા છે કે હવે લોકો તેને સમાચાર પણ નથી માનતા. આ જ કારણ છે કે, બિહારને હવે નવા રાજકારણની જરૂર છે.’
જન સુરાજનો હેતુ ચૂંટણી જીતવાનો નથીઃ પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરે ફરી પુનરાવર્તન કર્યું કે, તેમનું લક્ષ્ય સત્તા હાંસલ કરવું નથી પરંતુ બિહારને નવી દિશા આપવાનો છે. જન સુરાજ એક આંદોલન છે, જે રાજકારણમાં સાફ છબી, જવાબદેહી અને વિકાસ આધારિત વિચાર લાવવા માટે કામ કરી રહ્યા છે. અમારો હેતુ ચૂંટણી જીતવાનો નથી, બિહારને બહેતર બનાવવાનો છે. જો જનતા અમને તક આપે છે, તો રાજ્યમાં પ્રામાણિક શાસનની નવું ઉદાહરણ સ્થાપિત કરીશું.’

