વડા પ્રધાન મોદીએ સંસદ સત્ર પહેલા જણાવ્યું કે, ‘લોકોને એક જવાબદાર વિપક્ષની આશા છે…’

Reena Brahmbhatt
3 Min Read

નવી દિલ્હી: દેશની 18મી લોકસભાના પ્રથમ સત્ર ની આજથી શરૂઆત થઇ ગઈ છે, લોકસભા સત્રની શરૂઆત પહેલા વડા પ્રધાન મોદી એ સંસદ ભવન સંકુલમાં મીડિયાને સંબોધતા તમામ સાંસદોનું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન મોદીએ સંસદના નવા બિલ્ડીંગમાં શપથ સમારોહનો ઉલ્લેખ કરીને આનંદ વ્યક્ત કર્યો હતો.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે આજનો દિવસ આપણી સંસદીય લોકશાહી માટે ખુશીનો પ્રસંગ છે, આ નવા સંસદભવનમાં શપથગ્રહણ સમારોહ થશે, અત્યાર સુધી જૂની સંસદમાં આવું થતું હતું. વડા પ્રધાને કહ્યું કે આ અવસર પર હું તમામ નવા સાંસદોનું સ્વાગત અને અભિનંદન કરું છું.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે સંસદની આ રચના ભારતના સામાન્ય માણસના સંકલ્પોને પૂર્ણ કરવા માટે છે. નવો ઉત્સાહ, નવી ગતિ અને નવી ઊંચાઈઓ હાંસલ કરવાની આ તક છે. 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે 18મી લોકસભા આજથી શરૂ થઈ રહી છે.

- Advertisement -

લોકસભા ચૂંટણી-2024નો ઉલ્લેખ કરતા વડા પ્રધાને કહ્યું કે આ દરેક ભારતીય માટે ગર્વની વાત છે કે વિશ્વની સૌથી મોટી ચૂંટણી ખૂબ જ ભવ્ય રીતે યોજાઈ. 65 કરોડથી વધુ મતદારોએ મતદાનમાં ભાગ લીધો હતો.

Lok Sabha View TDG

- Advertisement -

વડા પ્રધાન મોદીએ કહ્યું કે જો આપણા દેશના નાગરિકોએ સતત ત્રીજી વખત સરકાર પર વિશ્વાસ કર્યો છે, તેનો અર્થ એ છે કે લોકોએ સરકારની નીતિઓ અને ઇરાદાઓને સમર્થન આપ્યું છે. તમારા સમર્થન અને વિશ્વાસ માટે હું તમારા બધાનો આભારી છું. સરકાર ચલાવવા માટે બહુમતી જરૂરી છે, પરંતુ દેશ ચલાવવા માટે સર્વસંમતિ જરૂરી છે.

વડા પ્રધાને કહ્યું કે દેશના લોકો વિપક્ષ પાસેથી સારા પગલાની અપેક્ષા રાખે છે. હું આશા રાખું છું કે વિપક્ષ લોકશાહીની ગરિમા જાળવવા માટે દેશના સામાન્ય નાગરિકોની અપેક્ષાઓ પર ખરું ઉતરશે. લોકોને ડ્રામા, હોબાળો નથી જોઈતો, લોકોને નારાબાજી નહીં પણ સાર્થકતા જોઈએ છે. દેશને એક સારા વિપક્ષની, એક જવાબદાર વિપક્ષની જરૂર છે અને મને પૂરો વિશ્વાસ છે કે આ 18મી લોકસભામાં જે સાંસદો જીત્યા છે તેઓ સામાન્ય માણસની આ અપેક્ષાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.

- Advertisement -

ઇમરજન્સીના દિવસોનો ઉલ્લેખ કરતા વડા પ્રધાને કહ્યું કે આવતીકાલે 25મી જૂન છે. 25મી જૂને ભારતના લોકતંત્ર પર લાગેલા એ ડાઘને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ભારતની નવી પેઢી એ ક્યારેય ભૂલી શકશે નહીં કે ભારતના બંધારણને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યું હતું, બંધારણના દરેક ભાગના ટુકડા કરવામાં આવ્યા હતા, દેશને જેલખાનામાં ફેરવી દેવામાં આવ્યો હતો, લોકશાહીને સંપૂર્ણ રીતે દબાવી દેવામાં આવી હતી. આપણા સંવિધાન, ભારતની લોકશાહી અને લોકતાંત્રિક પરંપરાઓની રક્ષા કરતા દેશવાસીઓ પ્રતિજ્ઞા લેશે કે 50 વર્ષ પહેલા જે કર્યું હતું તે કરવાની હિંમત ભારતમાં કોઈ ન કરે. આપણે જીવંત લોકશાહી માટે પ્રતિજ્ઞા લઈશું. અમે ભારતના બંધારણના નિર્દેશો અનુસાર સામાન્ય માણસના સપનાને સાકાર કરવાનો સંકલ્પ કરીશું

Share This Article