PV Narasimha Rao: તારીખ હતી 21 મે અને વર્ષ 1991. તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી તમિલનાડુના શ્રીપેરમ્બદૂર પહોંચ્યા. તેમને અહીં એક જનસભાને સંબોધિત કરવાની હતી. રાજીવ ગાંધી મંચ તરફ આગળ વધ્યા, પરંતુ ભીડે તેમને રોકી લીધા અને ફૂલહાર પહેરાવી સ્વાગત કરવા લાગ્યા. આ દરમિયાન ધનુ (Kalaivani Rajaratnam) નામની એક મહિલા રાજીવ ગાંધીના પગે લાગવા માટે ઝૂકી અને પોતાની ડ્રેસમાં છુપાયેલા બેલ્ટ બોમ્બથી જોરદાર વિસ્ફોટ કરી દીધો. ભીષણ ધડાકા બાદ ચીસ-પુકાર મચી ગઈ. ચારે તરફ માંસના લોચા નજરે પડતા હતા. હુમલામાં 16 લોકોના મોત થયા અને દેશે રાજીવ ગાંધીને પણ ગુમાવી દીધા. LTTE એ હુમલાની જવાબદારી લીધી હતી.
હૈદરાબાદ જવાની તૈયારીમાં હતા
રાજીવ ગાંધીનું મૃત્યુ દેશમાં હડકંપ મચાવવા માટે પૂરતું હતું. આ સમયગાળામાં દિલ્હીના ‘9, મોતીલાલ નેહરુ માર્ગ’ પર એક અલગ ઘટનાક્રમ ચાલી રહ્યો હતો. આ પી.વી. નરસિંહ રાવનો સરકારી બંગલો હતો, જેઓ તે સમયે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની તૈયારી કરી રહ્યા હતા. રાવે તેમના હૈદરાબાદના ઘરે શિફ્ટ થવા માટે જરૂરી પેકિંગ પણ કરી લીધું હતું. રાજીવ ગાંધીના અંતિમ સંસ્કાર બાદ સોનિયા ગાંધીએ તેમના મુખ્ય સલાહકાર કે. નટવર સિંહને બોલાવ્યા અને આગામી વડાપ્રધાનના નામ પર સલાહ માંગી. નટવરે તેમને ઈન્દિરા ગાંધીના રાજકીય સલાહકાર રહેલા અમલદાર પી.એન. હકસર સાથે વાત કરવાની સલાહ આપી. હકસરે તે સમયના ઉપરાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માને કોંગ્રેસના નેતા તરીકે પસંદ કરવાની સલાહ આપી.
ચૂંટણી પરિણામોની કરી પ્રતીક્ષા
લેખક વિનય સીતાપતિ મુજબ સોનિયા ગાંધીએ શંકર દયાલ શર્મા સાથે વાત કરવા માટે અરુણા આસફ અલી અને નટવર સિંહને મોકલ્યા. પરંતુ શંકર દયાલ શર્માએ એવું કહીને પદ લેવાનો ઇનકાર કરી દીધો કે તેમની તબિયત કંઈક ઠીક નથી ચાલી રહી અને તેઓ આ કામ સાથે ન્યાય કરી શકશે નહીં. સોનિયાએ જ્યારે પી.એન. હકસર પાસે બીજું નામ માંગ્યું તો તેમણે પી.વી. નરસિંહ રાવનું નામ સૂચવ્યું. હકસર સિવાય રાજીવ ગાંધીના ખાસ મિત્ર સતીશ શર્માએ પણ નરસિંહ રાવને જ પાર્ટીના નેતા બનાવવાની સલાહ આપી. નરસિંહ રાવને કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગમાં પાર્ટી અધ્યક્ષ તો ચૂંટી લેવાયા, પરંતુ વડાપ્રધાનની દાવેદારી પહેલા કોંગ્રેસ 10મી લોકસભાના ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહી હતી. પરિણામો આવ્યા અને કોંગ્રેસને 521 માંથી 232 બેઠકો મળી. આ બહુમતીથી તો ઘણી દૂર હતી, પરંતુ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી.
અર્જુન સિંહે આપ્યો હતો પ્રસ્તાવ
પહેલા શરદ પવાર પણ પીએમ પદની રેસમાં હતા, પરંતુ પરિણામોના 2 દિવસ બાદ તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી. આ પછી પી.વી. નરસિંહ રાવને સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યા. મધ્યપ્રદેશથી આવતા દિગ્ગજ કોંગ્રેસી નેતા અર્જુન સિંહે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો. 21 જૂને પી.વી. નરસિંહ રાવે વડાપ્રધાનની ખુરશી સંભાળી. તેમની કેબિનેટમાં શરદ પવાર રક્ષા મંત્રી, મનમોહન સિંહ નાણા મંત્રી અને અર્જુન સિંહ માનવ સંસાધન વિકાસ મંત્રી બન્યા. રાવે આંધ્રપ્રદેશની નાંદ્યાલ બેઠક પરથી પેટાચૂંટણી લડી અને તેમને જીત મળી. 28 જૂન 1921 ના રોજ જન્મેલા નરસિંહ રાવની આજે 105મી જયંતિ છે. આવો આ અવસર પર તેમના જીવન સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ વિશે જાણીએ.
17 ભાષાઓના જાણકાર હતા રાવ
પૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવને 17 ભાષાઓનું સારું એવું જ્ઞાન હતું. ભારતીય ભાષાઓની સાથે-સાથે રાવ અરબી, ફારસી, સ્પેનિશ અને ફ્રેન્ચ પણ શાનદાર રીતે બોલવાની સાથે લખી પણ શકતા હતા. આનાથી ફાયદો એ થતો હતો કે ઘણા વિદેશી નેતાઓ સાથે વાત કરવા માટે તેમને કોઈ અનુવાદકની જરૂર પડતી નહોતી.
સાહિત્યમાં રાખતા હતા ઊંડો રસ
નરસિંહ રાવ સાહિત્યના ક્ષેત્રમાં ઊંડો રસ રાખતા હતા. તેઓ શ્રેષ્ઠ સાહિત્યકાર હોવાની સાથે-સાથે અનોખા અનુવાદ કાર્યમાં પણ નિપુણ હતા. નરસિંહ રાવે તેલુગુની પ્રસિદ્ધ નવલકથા ‘વેઈ પદાગાલુ’ નો હિન્દીમાં અને મરાઠીની પ્રખ્યાત નવલકથા ‘પન લક્ષત કોન ઘેતો’ નો તેલુગુમાં અનુવાદ કર્યો હતો.

