Raghav Chadha on Mobile Users: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સંસદના ઉપલા ગૃહમાં મોબાઈલ ફોન ગ્રાહકોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે TRAI નો ડેટા દર્શાવે છે કે દેશમાં 125 કરોડ મોબાઈલ ગ્રાહકો છે. જેમાંથી 90 ટકા પ્રીપેડ મોબાઈલ યુઝર્સ છે. હું પ્રીપેડ મોબાઈલ યુઝર્સ વતી બે મોટી સમસ્યાઓ ઉઠાવવા માંગુ છું. જેમાં પહેલી સમસ્યા એ છે કે રિચાર્જ ખતમ થવા પર આઉટગોઇંગ કોલની સાથે ઇનકમિંગ કોલ પણ બંધ થઈ જાય છે.
રાઘવ ચઢ્ઢા બોલ્યા- આઉટગોઇંગ બંધ થવું સમજાય છે પણ…
રાઘવ ચઢ્ઢાએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે જ્યારે પ્રીપેડ પ્લાન એક્સપાયર થાય છે અથવા રિચાર્જની વેલિડિટી પૂરી થાય છે, ત્યારે તમારો અવાજ બંધ કરી દેવામાં આવે છે. આવી સ્થિતિમાં ફોન મારો, સિમ કાર્ડ મારું અને નંબર મારો, તો રિચાર્જ ખતમ થવા પર આઉટગોઇંગ બંધ થવું તો સમજાય છે, પરંતુ ઇનકમિંગ કોલ બંધ થવો એ સરાસર મનમાની છે.
‘મોબાઇલ નંબર આપણી ડિજિટલ ઓળખ’
AAP સાંસદે કહ્યું કે આપણો મોબાઈલ નંબર આપણી ડિજિટલ ઓળખ બની ગયો છે. તે ખૂબ જ આવશ્યક છે, જેમ કે બેંકિંગ, યુપીઆઈ પેમેન્ટ, ટ્રેન ટિકિટ ઓટીપી (OTP), પાન-આધાર ઓથેન્ટિકેશન, ઇન્ટરવ્યુનો કોલ, હોસ્પિટલનો કોલ, માતા-પિતાનો કોલ, આ બધું ઇનકમિંગ કોલ અને ઇનકમિંગ એસએમએસ દ્વારા આવે છે. આ બધું એટલા માટે બંધ થઈ જાય છે કારણ કે માણસ એક રિચાર્જ કરાવવાનું ભૂલી ગયો.
‘ઇનકમિંગ બંધ કરવું, આપણા રાઇટ ટુ કમ્યુનિકેશનને રોકવા સમાન છે’
આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે ઇનકમિંગ કોલ બંધ કરવો એ માત્ર સર્વિસ રોકવી નથી. તે આપણા ‘રાઇટ ટુ કમ્યુનિકેશન’ (સંવાદના અધિકાર) ને રોકવા જેવું છે. જેમ કે તમારું આધાર કાર્ડ એટલા માટે એક્સપાયર નથી થતું કારણ કે તમે વિગતો નથી ભરી, અથવા તમારું બેંક ખાતું એટલા માટે બંધ નથી થતું કારણ કે તમે માસિક ડિપોઝિટ નથી ભરી. તમારું વોટર આઈડી એટલા માટે સસ્પેન્ડ નથી થઈ જતું કારણ કે તમે એક ચૂંટણીમાં વોટ આપવાનું ભૂલી ગયા છો. તેવી જ રીતે તમારો મોબાઈલ નંબર સસ્પેન્ડ કે ડીએક્ટિવેટ ન થવો જોઈએ કારણ કે તમે રિચાર્જ નથી કરાવ્યું.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે હું સદનમાં ફ્રી આઉટગોઇંગની માંગ નથી કરી રહ્યો, ફ્રી ડેટાની માંગ નથી કરી રહ્યો. પરંતુ ઇનકમિંગ કોલ ફેસિલિટીની ગેરંટી હોવી જોઈએ. આપ સાંસદે સદનમાં પોતાની ત્રણ મહત્વની માંગણીઓ રજૂ કરી:
પ્રીપેડ મોબાઈલ કનેક્શનમાં ઇનકમિંગ કોલ અને ઇનકમિંગ એસએમએસ ઓછામાં ઓછા એક વર્ષ સુધી સતત ચાલુ રહેવા જોઈએ. આ સમયગાળો નંબરના છેલ્લા રિચાર્જથી ગણવો જોઈએ.
કોઈપણ મોબાઈલ નંબર ત્રણ વર્ષ પછી જ ડીએક્ટિવેટ થવો જોઈએ. એવું ન થવું જોઈએ કે તમારો મોબાઈલ નંબર બંધ કરીને અન્ય કોઈને ફાળવી દેવામાં આવે. આ માટે ઓછામાં ઓછો 3 વર્ષનો ગ્રેસ પિરિયડ આપવો જોઈએ.
મોબાઈલ ઓપરેટર્સ દ્વારા ઇનકમિંગ માટે ઓછી કિંમતે રિચાર્જની સુવિધા હોવી જોઈએ, જેથી ઇનકમિંગ કોલ-એસએમએસની સુવિધા લોકોને મળતી રહે.

