Rajasthan School Condition: શુક્રવારે (21 ઓગસ્ટ) કથિત રીતે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના એક પ્રતિનિધિમંડળ પર હુમલો કરવામાં આવ્યો. આ પ્રતિનિધિમંડળ જયપુર જિલ્લાના બગરુ સ્થિત રામપુરા કનવરપુરા ગામમાં એક સરકારી સ્કૂલનું નિરીક્ષણ કરવા પહોંચ્યું હતું. જણાવવામાં આવ્યું છે કે સ્કૂલની ઇમારત જર્જરિત સ્થિતિમાં છે.
CJPએ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) પર પોતાના પ્રતિનિધિમંડળ પર હુમલો કરવા માટે ‘ગુંડા’ મોકલવાનો આરોપ લગાવ્યો. તેના જવાબમાં રાજસ્થાનના શિક્ષણ મંત્રીએ વળતો પ્રહાર કરતાં કહ્યું કે ‘કેટલાક કહેવાતા રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો સ્કૂલોની મુલાકાત લઈ રહ્યા છે અને બિનજરૂરી રીતે વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.’
આ પહેલાં, CJPની ‘સ્કૂલ ઠીક કરો’ પહેલની જાહેરાત બાદ રાજસ્થાન સરકારે એક આદેશ જાહેર કર્યો હતો. તેમાં પૂર્વ પરવાનગી વિના ‘બહારના લોકો’ના સરકારી સ્કૂલ પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સાથે જ સ્કૂલ પરિસરની ફોટોગ્રાફી અને લાઇવ સ્ટ્રીમિંગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
BJP શાસિત રાજ્યમાં સરકારે સ્કૂલોની જર્જરિત સ્થિતિનું નિરીક્ષણ કરવા અને તેને સામે લાવતી કોઈપણ તૃતીય પક્ષની પહેલનો સ્પષ્ટપણે વિરોધ કર્યો છે. જોકે, સરકારના પોતાના આંકડા જ રાજ્યની સ્કૂલોની દયનીય સ્થિતિને ઉજાગર કરે છે.
45,365 સ્કૂલ બિલ્ડિંગમાં મોટા પાયે રિપેરિંગની જરૂર, સરકારે જાન્યુઆરીમાં જણાવ્યું હતું
આ વર્ષે જાન્યુઆરીમાં રાજસ્થાન વિધાનસભામાં એક સવાલના જવાબમાં રાજ્યની ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારે જણાવ્યું હતું કે ઓગસ્ટ 2025માં કરવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર, રાજ્યની 65,308 સરકારી સ્કૂલોમાંથી 45,365 સ્કૂલ બિલ્ડિંગ એટલે કે સર્વે કરવામાં આવેલી સ્કૂલોના 69 ટકા બિલ્ડિંગમાં મોટા પાયે રિપેરિંગની જરૂર હતી.
સરકારે કોટા દક્ષિણના BJP ધારાસભ્ય સંદીપ શર્મા દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં એ પણ જણાવ્યું હતું કે સર્વેક્ષણ દરમિયાન 3,768 સ્કૂલ બિલ્ડિંગ જર્જરિત મળી આવ્યા હતા.
સરકારે જાન્યુઆરીમાં આપેલા પોતાના જવાબમાં એ પણ જણાવ્યું હતું કે મોટા પાયે રિપેરિંગની જરૂર ધરાવતા 45,365 સ્કૂલ બિલ્ડિંગમાંથી જવાબ આપવામાં આવ્યો ત્યાં સુધી માત્ર 4,187 સ્કૂલોના રિપેરિંગ કામને મંજૂરી મળી હતી.
સરકારે પોતાના જવાબમાં એ પણ સ્વીકાર્યું હતું કે પાણીનું લીકેજ સ્કૂલ બિલ્ડિંગ જર્જરિત થવાના કારણોમાંથી એક હતું.
સરકારે આગળ જણાવ્યું કે સર્વેક્ષણમાં 83,783 વર્ગખંડો અને 16,765 શૌચાલય સંપૂર્ણપણે જર્જરિત મળી આવ્યા હતા, જ્યારે 29,753 શૌચાલયોમાં મોટા પાયે રિપેરિંગની જરૂર હતી.
1.6 લાખ વર્ગખંડોમાં પાકી છત નથી
સરકાર દ્વારા જાન્યુઆરીમાં આપવામાં આવેલા જવાબમાં સામે આવેલો એક અન્ય મહત્વપૂર્ણ તથ્ય એ છે કે 1,69,217 વર્ગખંડોમાં પાકી છત (રીઇન્ફોર્સ્ડ સિમેન્ટ કૉન્ક્રીટ – RCC) નહોતી. માત્ર 50,685 વર્ગખંડોમાં RCCની છત ઉપલબ્ધ હતી.
સ્કૂલ બિલ્ડિંગોનું આ સરકારી સર્વેક્ષણ જુલાઈ 2025માં ઝાલાવાડ જિલ્લામાં એક સરકારી સ્કૂલની ઇમારત ધરાશાયી થવાની ઘટના બાદ ઓગસ્ટ 2025માં કરવામાં આવ્યું હતું. 25 જુલાઈ 2025ના રોજ બનેલી આ ઘટનામાં સાત બાળકોનાં મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય ઘણા ઘાયલ થયા હતા.
તે સમયે ધ વાયરએ રિપોર્ટ કર્યું હતું કે સ્કૂલના વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમણે શિક્ષકોને છત પરથી કાટમાળના ટુકડા પડવાની જાણકારી આપી હતી, પરંતુ તેમની ચેતવણીઓને અવગણવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ગ્રામજનોએ અગાઉ પણ સ્કૂલ બિલ્ડિંગના રિપેરિંગની જરૂરિયાતનો મુદ્દો ઉઠાવ્યો હતો.
611 સ્કૂલ બિલ્ડિંગ વિના ચાલી રહી છે
શુક્રવારે કોંગ્રેસ ધારાસભ્ય અને રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા ટીકારામ જૂલીના એક અતારાંકિત સવાલના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (UDISE) 2025-26ના આંકડા અનુસાર, રાજસ્થાનમાં 611 સ્કૂલ બિલ્ડિંગ વિના ચાલી રહી છે. તેમાં 10 બાળિકા સ્કૂલ છે.
સરકારે પોતાના જવાબમાં આગળ જણાવ્યું કે આંકડા અનુસાર, 2,047 સ્કૂલોમાં શૌચાલય નથી, જ્યારે 1,049 સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધા નથી.
કોંગ્રેસે BJP પર નિશાન સાધ્યું, ‘જનતાને ગેરમાર્ગે દોરવાનો’ આરોપ
શુક્રવારે CJPના પ્રતિનિધિમંડળ પર કથિત હુમલા બાદ રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષના નેતા ટીકારામ જૂલીએ રાજ્યની BJP સરકાર પર આકરો હુમલો કર્યો અને તેના પર જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો.
જૂલીએ કહ્યું, ‘ગૃહમંત્રીએ જવાબ આપવો જોઈએ, મુખ્યમંત્રીએ જવાબ આપવો જોઈએ. શું તમે રાજસ્થાનમાં આ પ્રકારની હિંસાને પ્રોત્સાહન આપશો? આ લોકો કોણ છે, જેમને ખુલ્લી છૂટ આપવામાં આવી છે અને જેઓ રાજસ્થાનમાં આ તાનાશાહી રીતે જે મનમાં આવી રહ્યું છે તે કરી રહ્યા છે? કોના ઇશારે તેમનું મનોબળ વધ્યું છે? આ લોકોએ સ્કૂલની તપાસ કરવા પહોંચેલા બાળકો સાથે હિંસા કરી છે.’
જૂલીએ લોકોને સ્કૂલોનું નિરીક્ષણ કરતા રોકતા રાજસ્થાન સરકારના આદેશને ‘કાળો કાયદો’ ગણાવ્યો.
જૂલીએ આગળ કહ્યું, ‘જે વિદ્યાર્થી નેતાઓ છે, બાળકો છે, તેઓ બાળકોનો અવાજ ઉઠાવવા માટે ત્યાં ગયા હતા. સરકારને તેનાથી શું પરેશાની છે? જો તેઓ પોતાનો અવાજ ઉઠાવે છે, તો સરકારે તેમની વાત સાંભળવી જોઈએ અને સ્કૂલોની સ્થિતિ સુધારવા માટે કામ કરવું જોઈએ.’
જૂલીએ આરોપ લગાવ્યો કે સરકારના સંરક્ષણ વિના સ્કૂલોનું નિરીક્ષણ કરવા જતા લોકો પર હુમલો કરવો શક્ય નહોતો.
જૂલીએ કહ્યું, ‘ગઈકાલે હું સ્કૂલની તપાસ કરવા ગયો હતો, પરંતુ મને ગેટ પર જ રોકી દેવામાં આવ્યો. આજે આ બાળકો તપાસ કરવા ગયા અને તેમને મારવામાં આવ્યા. આ ખોટું છે. સરકારના સંરક્ષણ વિના કોઈ પણ આ પ્રકારનું પગલું ઉઠાવી શકે નહીં.’
કાર્યકરો અને નાગરિક સમાજના સભ્યોએ CJPના પ્રતિનિધિમંડળ પર થયેલા કથિત હુમલાની નિંદા કરી છે અને હુમલા માટે જવાબદાર લોકોની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે.
પીપુલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (PUCL)ના રાષ્ટ્રીય અધ્યક્ષ કવિતા શ્રીવાસ્તવે શુક્રવારે ઘટનાબાદ જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું, ‘PUCL લગભગ 40 સભ્યો ધરાવતા CJPના પ્રતિનિધિમંડળ પર હુમલો કરવા અને તેમને ઘાયલ કરવાના આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરે છે. PUCLનો આરોપ છે કે આ હુમલો અચાનક થયો નહોતો, પરંતુ અગાઉથી એકત્ર કરાયેલા ટોળાએ તેને અંજામ આપ્યો હતો. PUCLનું માનવું છે કે સરકારી સ્કૂલોની બગડતી સ્થિતિ સામે લાવવાનો પ્રયાસ કરી રહેલા નાગરિક સમાજના કાર્યકરો પર હુમલો કરવો માત્ર કાયદો-વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતા જ નથી, પરંતુ લોકતાંત્રિક જવાબદારી પર પણ હુમલો છે.’
શિક્ષણ મંત્રીએ દીપકેની ચેતવણીને ‘વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ’ ગણાવ્યો
પોતાના પ્રતિનિધિમંડળ પર થયેલા હુમલા બાદ CJPના સ્થાપક અભિજીત દીપકેએ ચેતવણી આપી કે જો હુમલા માટે જવાબદાર લોકોને આગામી 48 કલાકની અંદર ધરપકડ કરવામાં નહીં આવે, તો તેનાથી મોટું આંદોલન કરવામાં આવશે.
બીજી તરફ, BJPના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના શિક્ષણમંત્રી મદન દિલાવરે સરકારી સ્કૂલોનું નિરીક્ષણ કરવા જવાને ‘વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ’ ગણાવ્યો.
દિલાવરે શુક્રવારે X પર લખ્યું, ‘સ્કૂલોને રાજકીય અખાડો ન બનાવો! અમારા ધ્યાનમાં આવ્યું છે કે કેટલાક કહેવાતા રાજકીય પક્ષો સાથે જોડાયેલા લોકો સ્કૂલોની મુલાકાત લઈ રહ્યા છે અને બિનજરૂરી રીતે વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. સ્કૂલ બાળકોના ભવિષ્યને ઘડવા માટેનું પવિત્ર સ્થળ છે. અહીં ધ્યાન શિક્ષણ, સંસ્કાર અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય પર હોવું જોઈએ, રાજકારણ પર નહીં.’
તેમણે આગળ કહ્યું, ‘સ્વાર્થી હિતો અને ક્ષણિક વાહવાહીના માટે સ્કૂલના વાતાવરણને ખરાબ કરવાના પ્રયાસો પ્રત્યે સૌએ સતર્ક રહેવું જોઈએ. હું તમામ શિક્ષકો, વાલીઓ અને સામાન્ય લોકોને અપીલ કરું છું કે આવા પ્રયાસોથી દૂર રહે અને સ્કૂલોની ગરિમા, તેમના શૈક્ષણિક વાતાવરણ અને આપણા બાળકોના ભવિષ્યની રક્ષા માટે મળીને કામ કરે.’
શનિવારે (22 ઓગસ્ટ) દિલાવરે X પર અન્ય એક પોસ્ટમાં કહ્યું કે રાજસ્થાનમાં સરકારી સ્કૂલોને મજબૂત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા બે બજેટમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં સ્કૂલોના મૂળભૂત માળખા માટે 12,335 કરોડ રૂપિયાની કાર્યયોજના પણ સામેલ છે.

