મુંબઈ: ભારતીય રિઝર્વ બેંકની 51મી MPC બેઠકમાં લેવાયેલા નિર્ણયોની ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે. RBIએ મુખ્ય વ્યાજ દર એટલે કે રેપો રેટ(REPO rate)માં કોઈ ફેરફાર કર્યો નથી. RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક સોમવારથી શરૂ થઈ હતી.

આ સતત 10મી વખત છે જ્યારે રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રિઝર્વ બેંકે ફેબ્રુઆરી 2023થી રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. એટલે કે હાલ તમારી લોનના EMI ન તો વધશે કે ઘટશે.
આ મહિનાની શરૂઆતમાં, સરકારે મોનેટરી પોલિસી કમિટી (MPC) રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની રેટ-સેટિંગ કમિટીનું પુનર્ગઠન કર્યું હતું.
RBI ગવર્નરે જણાવ્યું હતું કે, “મેક્રો ઇકોનોમિક પરિસ્થિતિઓ અને ફ્યુચર આઉટલૂકનું મૂલ્યાંકન કર્યા પછી, મોનેટરી પોલિસી કમિટી (MPC) ના 6 માંથી 5 સભ્યોની સહમતિ સાથે, પોલિસી રેટને 6.5% પર જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.”
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે MPCની બેઠકમાં રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 6.7 ટકા રહેવાનો અંદાજ છે. મેન્યુફેક્ચરિંગ ફેક્ટરમાં વૃદ્ધિ ધીમી પડવાના સંકેત દેખાઈ રહ્યા છે. સમિતિએ નાણાકીય વર્ષ 2025માં જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
આરબીઆઈના નિર્ણય બાદ શેરબજારમાંથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ 500 પોઇન્ટ ઉછળ્યો હતો. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 150 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો.

