S. Jaishankar: આતંકવાદ સામે લડાઈમાં ભારતને મુસ્લિમ દેશ અને તાલિબાન શાસિત અફઘાનિસ્તાનનું પણ સમર્થન મળ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી અમીરખાન મુત્તાકી સાથે પહેલીવાર વાતચીત કરી છે. તાલિબાનને ઑગસ્ટ 2021માં અફઘાનિસ્તાનની સત્તામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે આ પહેલી ઉચ્ચ સ્તરીય વાતચીત છે.
અફઘાન સરકારે પહલગામ હુમલાની કરી ટીકા
આ વાતચીત એવા સમયે થઈ છે, જ્યારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલી જવાબી કાર્યવાહી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય તણાવ વધ્યો છે. અફઘાન સરકારે આ હુમલાની આકરી ટીકા કરી હતી, જેના જયશંકરે વખાણ કર્યા હતા.
એસ જયશંકરે પોસ્ટ કરી આપી જાણકારી
એસ. જયશંકરે વાતચીત બાદ એક્સ પર લખ્યું, ‘અફઘાનના કાર્યકારી વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકી સાથે વાતચીત થઈ. પહલગામ હુમલાની તેમની સ્પષ્ટ નિંદા માટે આભાર. અફઘાન અને ભારતની જનતાના પરંપરાગત મૈત્રીપૂર્ણ સંબંધો પર ભાર મૂક્યો અને તેમની વિકાસ જરૂરિયાતો માટે ભારતના સતત સમર્થનની પુષ્ટિ કરી.’
ભારત સાથે દ્વિપક્ષીય સંબંધ મજબૂત કરવા પર થઈ વાતચીત
તાલિબાનના વિદેશ મંત્રાલય અનુસાર, આ વાતચીતમાં મુત્તાકીએ ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને સશક્ત કરવા, વ્યાપાર વધારવા અને રાજકીય સંબંધોને મજબૂતી આપવા પર ભાર મૂક્યો. તેમણે ભારતને મહત્ત્વપૂર્ણ દેશ જણાવ્યો અને અફઘાનિસ્તાન સાથે ઐતિહાસિક સંબંધોનો ઉલેલખ કરતાં તેને મજબૂત કરવાની આશા વ્યક્ત કરી. મુત્તાકીએ ખાસ કરીને અફઘાન વ્યાપારી અને દર્દીઓ માટે ભારતના વિઝાની પ્રક્રિયાને સરળ બનાવવાની અપીલ કરી. આ સાથે જ ભારતમાં બંધ અફઘાન કેદીઓની મુક્તિ અને સ્વદેશ વાપસીની માંગ કરી.
જયશંકરે તમામ મુદ્દા પર ભારત તરફથી સકારાત્મક સહયોગનું આશ્વાસન આપ્યું અને કહ્યું કે, ભારત રાજકીય અને આર્થિક ક્ષેત્રે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે.
આ વાતચીતમાં ઈરાન સ્થિત ચાબહાર બંદરને લઈને પણ ચર્ચા થઈ હતી, જે ભારત માટે અફઘાનિસ્તાન સુધી પહોંચવાનો વ્યુનૈતિક માર્ગ છે. આ પાકિસ્તાનને બાયપાસ કરે છે. આ સિવાય ક્ષેત્રીય સુરક્ષા, સ્થિરતા અને બંને દેશો વચ્ચે આર્થિક અને માનવીય સહયોગને વધારવા માટે સંમતિ વ્યક્ત કરી.
પહેલી ઉચ્ચ સ્તરીય વાતચીત
નોંધનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ દુબઈમાં મુત્તાકી સાથે મુલાકાત કરી હતી, જે તાલિબાન શાસક સાથે ભારતનો પહેલો ઉચ્ચ સ્તરીય સંપર્ક હતો.
વિદેશ મંત્રી એસ. જયશંકરે ગુરુવારે કહ્યું કે, પાકિસ્તાન સાથે ભારતના સંબંધ અને વ્યવહાર સંપૂર્ણ રીતે દ્વિપક્ષીય રહેશે. આ સંબંધમાં અનેક વર્ષોથી રાષ્ટ્રીય સંમતિ બની છે અને તેમાં કોઈ બદલાવ નહીં થાય. જયશંકરે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહલગામ હુમલાના ગુનેગારોને જવાબદાર ઠેરવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને 7 મેની સવારે, અમે ઓપરેશન સિંદૂર દ્વારા તેમને જવાબદાર ઠેરવ્યા. એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતે લક્ષ્ય હાંસલ કર્યું અને એ પણ સ્પષ્ટ થઈ ગયું કે ગોળીબાર રોકવા માટે કોણ તૈયાર છે.