Sonom Wangchuk Released MHA Order: સોનમ વાંગચુકને તરત જ મુક્ત કરવામાં આવે, ગૃહ મંત્રાલયે જારી કર્યો આદેશ; NSA કેસ પર પણ કેન્દ્રનો યુ-ટર્ન

Arati Parmar
2 Min Read

Sonom Wangchuk Released MHA Order: સપ્ટેમ્બર 2025માં લદ્દાખમાં ફાટી નીકળેલી હિંસા બાદ અટકાયતમાં લેવામાં આવેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને કેન્દ્ર સરકારે મુક્ત કરવાનો આદેશ જારી કર્યો છે. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને આ નિર્ણય લીધો છે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, લેહમાં 24 સપ્ટેમ્બર 2025 ના રોજ ઉભી થયેલી પરિસ્થિતિ બાદ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ પર 26 સપ્ટેમ્બર 2025 ના રોજ સોનમ વાંગચુકને જાહેર વ્યવસ્થા જાળવવાના હેતુથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. મંત્રાલયે જણાવ્યું કે તેઓ આ સમયગાળાનો લગભગ અડધો સમય પૂરો કરી ચૂક્યા હતા.

- Advertisement -

ગૃહ મંત્રાલયે શું કહ્યું?

કેન્દ્ર સરકારે કહ્યું કે, સરકાર લદ્દાખમાં વિવિધ હિતધારકો અને સમુદાયના નેતાઓ સાથે વાતચીત કરી રહી છે, જેથી પ્રદેશના લોકોની આકાંક્ષાઓ અને ચિંતાઓનું સમાધાન લાવી શકાય.

સરકારે સ્પષ્ટ કર્યું કે બંધ અને વિરોધ પ્રદર્શનોનું વર્તમાન વાતાવરણ સમાજના શાંતિપ્રિય સ્વરૂપ માટે નુકસાનકારક સાબિત થયું છે અને આનાથી વિદ્યાર્થીઓ, નોકરી શોધનારાઓ, વ્યવસાયો, પ્રવાસન સંચાલકો અને પ્રવાસીઓ સહિત સમુદાયના વિવિધ વર્ગોને તથા લદ્દાખની અર્થવ્યવસ્થાને ખરાબ રીતે અસર પહોંચી છે.

- Advertisement -

સોનમ વાંગચુકને કેમ મુક્ત કરવામાં આવ્યા?

ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, સરકાર લદ્દાખમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે વિચાર-વિમર્શ બાદ સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને સોનમ વાંગચુકની અટકાયત તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લીધો છે.

શું છે સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં 24 સપ્ટેમ્બરે થયેલી હિંસામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હિંસા લેહમાં લદ્દાખને છઠ્ઠી અનુસૂચિ (Sixth Schedule) નો દરજ્જો અને રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે થઈ રહેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન થઈ હતી. હિંસા દરમિયાન લગભગ 90 લોકો ઘાયલ થયા હતા.

- Advertisement -

26 સપ્ટેમ્બરે સોનમ વાંગચુકને લદ્દાખમાં હિંસક વિરોધ પ્રદર્શનો ભડકાવવાના આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ સિવાય, પ્રશાસને ચાર લોકોના મોતના મામલામાં મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ આપ્યો છે. જોકે, સ્થાનિક લોકોએ ન્યાયિક તપાસની માંગ ઉઠાવી હતી.

Share This Article