રાંચી: ચૂંટણી પંચ આજે બપોરે 3.30 વાગ્યે ઝારખંડ અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી ની તારીખોની જાહેરાત કરશે. એ પહેલા ઝારખંડ મુક્તિ મોરચા(JMM)એ મોટો આરોપ લગાવ્યો છે. જેએમએમના નેતા મનોજ પાંડે એ આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓને ગઈકાલે જ ચૂંટણીની જાહેરાતની માહિતી મળી ગઈ હતી. તેમણે ચૂંટણી પંચને કઠપૂતળી પણ ગણાવી હતી.
મનોજ પાંડેએ કહ્યું કે હિમંતા બિસ્વા સરમાએ ગઈ કાલે એક નિવેદન આપ્યું હતું કે આજે ચૂંટણીની જાહેરાત થઈ રહી છે. જો કે અમે હંમેશા ચૂંટણી માટે તૈયાર છીએ પરંતુ ભાજપના નેતાઓને ગઈકાલે જ તેની જાણ થઈ ગઈ હતી. મનોજ પાંડેએ કહ્યું કે આ ખૂબ જ ગંભીર બાબત છે. શું ચૂંટણી પંચ ભાજપના નેતાઓના ઈશારે કામ કરે છે?
ઝારખંડ વિધાનસભા:
ઝારખંડમાં કુલ 81 વિધાનસભા સીટો છે. વિધાનસભાનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025ના રોજ પૂરો થવાનો છે, આ પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
મહારાષ્ટ્ર વિધાન સભા:
આ સાથે મહારાષ્ટ્રમાં પણ 288 વિધાનસભા બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં કેબિનેટની બેઠકમાં મુંબઈની 5 ચેકપોઈન્ટને ટોલ ફ્રી બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. આને શિંદે સરકારનો માસ્ટર સ્ટ્રોક ગણાવવામાં આવી રહ્યો છે.

