Yogi Adityanath Press Conference: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખનઉમાં એક પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન સવાલ પૂછતી મહિલા પત્રકારનો 30 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મુખ્યમંત્રી સવાલનો જવાબ આપ્યા વિના મંચ પરથી જતા જોવા મળી રહ્યા છે.
આ ઘટનાએ ફરી એક વખત BJP શાસિત ઉત્તર પ્રદેશમાં પ્રેસની સ્વતંત્રતાને લઈને સવાલો ઊભા કર્યા છે. મહિલા પત્રકારે બાદમાં આરોપ લગાવ્યો કે BJP કાર્યકર્તાઓએ તેમની સાથે ગેરવર્તન કર્યું.
વીડિયોમાં દિવ્યા શ્રીવાસ્તવ નામની મહિલા પત્રકાર, જેઓ એક સમાચાર ચૅનલમાં કામ કરતાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, મુખ્યમંત્રીને સવાલ કરતી જોવા મળે છે. તેઓ કહે છે, ‘મુખ્યમંત્રીજી, આ પ્રેસ કૉન્ફરન્સ છે અને તમે કોઈ સવાલનો જવાબ પણ નથી આપી રહ્યા. તમે પ્રેસ કૉન્ફરન્સ શા માટે બોલાવી? માત્ર એટલા માટે કે અમે તમારી વાત સાંભળીએ?’
At UP CM Yogi Adityanath’s press conference pic.twitter.com/qEmYvZ6EJY
— Piyush Rai (@Benarasiyaa) September 12, 2026
આ પછી મુખ્યમંત્રી આદિત્યનાથ અને BJPના અન્ય નેતાઓ મંચ પરથી જવા લાગે છે. દિવ્યા પોતાના મોબાઇલ ફોનથી આ સમગ્ર ઘટનાક્રમને રેકોર્ડ કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે.
આ ઘટના 12 સપ્ટેમ્બર 2026ના રોજ સેવા સંકલ્પ અભિયાનને લઈને આયોજિત પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન બની હતી. મુખ્યમંત્રીએ પણ આ કાર્યક્રમ સંબંધિત એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
BJPએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનનાં 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે 17 સપ્ટેમ્બરથી 17 ઑક્ટોબર સુધી ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને આસામ સહિત અનેક રાજ્યોમાં વિવિધ કાર્યક્રમો યોજવા માટે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત એક મહિનાનો કાર્યક્રમ તૈયાર કર્યો છે.
લખનઉના એક પત્રકારે જણાવ્યું, ‘સામાન્ય રીતે પાર્ટી કાર્યાલયમાં યોજાતી આવી પ્રેસ કૉન્ફરન્સ સરકારનો પક્ષ અને પાર્ટીનો સંદેશ જણાવવા માટે હોય છે, જ્યાં પત્રકારોના સવાલ પૂછવાની શક્યતા ખૂબ ઓછી હોય છે.’ જોકે, તેમણે કહ્યું કે આ સ્થિતિ દિલ્હીસ્થિત BJP મુખ્યાલયમાં યોજાતી પ્રેસ કૉન્ફરન્સથી અલગ છે, જ્યાં પાર્ટીના પ્રવક્તાઓ નિયમિત રીતે પત્રકારોના સવાલોના જવાબ આપે છે.
વરિષ્ઠ પત્રકાર અભિષેક ઉપાધ્યાય સાથેના પોતાના ઇન્ટરવ્યૂમાં, જે તેમની યૂટ્યુબ ચૅનલ ટૉપ સિક્રેટ પર પ્રસારિત થયું, દિવ્યા શ્રીવાસ્તવે ઘટના વિશે વિગતવાર જણાવ્યું.
તેમણે કહ્યું, ‘જ્યારે મેં સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો ત્યારે મુખ્યમંત્રીએ બાય-બાયનો ઇશારો કર્યો અને ચાલ્યા ગયા. ત્યાર બાદ BJP કાર્યકર્તાઓએ મને ઘેરી લીધી અને મને સવાલ કરવા લાગ્યા કે હું ગેરવર્તન શા માટે કરી રહી છું. સવાલ પૂછવા અને કોઈની સાથે ગેરવર્તન કરવા વચ્ચે ફરક હોય છે. મેં કોઈ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો ન હતો, મેં માત્ર મુખ્યમંત્રીને મારા સવાલનો જવાબ આપવા વિનંતી કરી હતી.’
શ્રીવાસ્તવે આરોપ લગાવ્યો કે BJPનો એક સભ્ય, જે પાર્ટીનો પ્રવક્તા પણ છે, તેમને તેમનું નામ અને તેઓ કઈ ચૅનલમાં કામ કરે છે તે પૂછતો રહ્યો.
તેમણે કહ્યું, ‘તે 10-12 વખત આ જ પૂછતો રહ્યો. આ દરમિયાન તેણે મને મોબાઇલનો કૅમેરો બંધ કરવા માટે કહ્યું અને મારા ઇનકાર કરવા પર મારી સાથે ગેરવર્તન કર્યું.’
આ દરમિયાન, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અન્ય એક વીડિયોમાં શ્રીવાસ્તવ એવા આરોપોને નકારી કાઢતાં સંભળાય છે કે તેમને રાજ્યમાં કોઈ વિપક્ષી દળે પ્રેસ કૉન્ફરન્સમાં મોકલ્યા હતા.
તેઓ કહેતાં સંભળાય છે, ‘હું આપ સૌને કેટલી વાર કહું કે ત્યાં મને કોઈ વિપક્ષી નેતાએ મોકલી ન હતી. શું BJP સમર્થકો અંધ છે? હું ગઈકાલથી આ જ કહી રહી છું કે મારા મનમાં કોઈ પ્રચારનો હેતુ નહોતો, હું માત્ર સવાલ પૂછવા માગતી હતી.’

