Ambati Rayudu vs Navjot Sidhu: IPL 2025માં પૂર્વ ભારતીય ક્રિકેટર અંબાતી રાયડુ પોતાની કૉમેન્ટ્રીને લઈને ચર્ચામાં છે. રાયડુની કૉમેન્ટ્રી દરમિયાન નવજોત સિંહ સિદ્ધુ સાથે બોલાચાલી થઈ ગઈ હતી, જે હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ બેટ્સમેન રાયડુએ કૉમેન્ટ્રી દરમિયાન સિદ્ધુને કંઈક એવું કહી દીધુ હતું જેનો સિદ્ધુએ તગડો જવાબ આપ્યો હતો.
મંગળવારે પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ દરમિયાન અંબાતી રાયડુએ નવજોત સિંહ સિદ્ધુને કહ્યું હતું કે, ‘કે તમે પોતાની મનપસંદ ટીમ બદલી નાખો છે જેમ કાચિંડો પોતાનો રંગ બદલી નાખે છે.’ તેના જવાબમાં સિદ્ધુએ કહ્યું હતું કે, ‘કાચિંડો કોઈનો આરાધ્ય દેવતા હોય, તો તે તમે છો.’
રાયડુએ પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી
હવે અંબાતી રાયડુએ પોતાના X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. રાયડુએ આ પોસ્ટ દ્વારા ટીકાકારોને જવાબ આપ્યો છે. રાયડુએ કહ્યું કે, હું ધોનીનો ચાહક હતો અને હંમેશા તેનો ચાહક રહીશ. રાયડુએ સૂચન કર્યું કે, મારા ટીકાકારોએ ‘પેઈડ પીઆર’ પર પૈસા ખર્ચવાનું બંધ કરી દેવું જોઈએ.
હંમેશા થાલાનો ચાહક રહીશ
અંબાતી રાયડુએ લખ્યું કે, ‘હું થાલાનો ચાહક હતો, ચાહક છું અને હંમેશા તેનો ચાહક રહીશ. કોઈ ગમે તે વિચારે તેનાથી મને એક ટકા પણ ફર્ક નથી પડતો. તેથી પ્લીઝ પેઈડ પીઆર પર પૈસા ખર્ચ કરવાનું બંધ કરો અને તેને દાનમાં આપો. તેનાથી જરૂરિયાતમંદોને લાભ મળી શકે છે. ‘
અંબાતી રાયડુનું કરિયર
39 વર્ષીય અંબાતી રાયડુએ ભારત માટે 55 વનડેમાં 47.05ની એવરેજથી 1,694 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 124 રન અણનમ રહ્યો છે. તેણે વનડેમાં 3 સદી અને 10 અડધી સદી પણ ફટકારી હતી. રાયડુએ ભારત માટે 6 T20 મેચ પણ રમી હતી. આમાં તેણે 10.50ની એવરેજથી માત્ર 42 રન બનાવ્યા હતા.

