First Indian astronaut to travel into space in May: ભારત 40 વર્ષ બાદ આગામી મહિને મેમાં સ્પેસમાં અંતરિક્ષયાત્રી મોકલવા જઈ રહ્યું છે. 1984માં સોવિયેત સોયુઝ અંતરિક્ષયાનમાં રાકેશ શર્માએ અંતરિક્ષની મુસાફરી કરી હતી. કેન્દ્રીય વિજ્ઞાન અને ટૅક્નોલૉજી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે આ અંગે માહિતી આપી હતી.
જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેનાના ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા એક્સિઓમ સ્પેસના એક્સ-4 મિશનના ભાગ રૂપે આવતા મહિને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) જવા માટે તૈયાર છે. ભારતની આ નોંધનીય સફળતા છે. જે આગામી સમયમાં માનવીની અંતરિક્ષમાં ઉડાનના ISROના મિશનને વેગ આપશે.
ચાર દાયકા બાદ ભારતીય અંતરિક્ષયાનમાં જશે
સિંહે નોંધ્યું હતું કે, ISSમાં પ્રથમ ભારતીય અંતરિક્ષયાત્રી જઈ રહ્યા હોવાથી આ મિશન મહત્ત્વનું છે. રાકેશ શર્મા બાદ શુકલા પ્રથમ ભારતીય અંતરિક્ષયાત્રી છે કે, જે ચાર દાયકા બાદ અંતરિક્ષમાં ઉડાન ભરશે. જે આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે સહયોગ અને ગગનયાન જેવા પ્રોજેક્ટ્સની વ્યૂહાત્મક ગતિ અવકાશ ટૅક્નોલૉજીમાં વૈશ્વિક નેતા બનવાની ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આગામી મહિને ઇસરોની આ સંદર્ભે ભાવિ યોજનાઓની સમીક્ષા કરવા બેઠકો યોજાશે.
મંત્રીએ ભાર મૂક્યો કે આ પ્રયાસો વિકસિત અને આત્મનિર્ભર ભારતના વિઝન સાથે પણ સુસંગત છે. ISROના ચેરમેન ડૉ. વી. નારાયણને કહ્યું કે શુક્લા આ મિશન માટે સંપૂર્ણપણે સજ્જ છે, જે ગગનયાન પ્રોજેક્ટ સહિત ભારતના ભવિષ્યના ક્રૂ મિશન માટે મૂલ્યવાન પ્રેક્ટિકલ અનુભવ પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.
ઇસરો દ્વારા શોર્ટલિસ્ટ થયા હતા શુક્લા
IAF સાથે ડેકોરેટેડ ટેસ્ટ પાઇલટ શુક્લાને ISROના હ્યુમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ (HSP) હેઠળ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા અને તેઓ ગગનયાન મિશન, ભારતના પ્રથમ સ્વદેશી ક્રૂ ઓર્બિટલ ફ્લાઇટ માટેના ટોચના દાવેદારો પૈકી એક છે. Ax-4 મિશન પરની તેમની યાત્રા અંતરિક્ષ ઉડાન કામગીરી, લોન્ચ પ્રોટોકોલ, માઇક્રોગ્રેવિટી અનુકૂલન અને કટોકટી તૈયારીમાં મહત્ત્વપૂર્ણ પ્રેક્ટિકલ અનુભવ પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. જે ભારતની ક્રૂ સ્પેસ મહત્વાકાંક્ષાઓ માટે જરૂરી છે.