WhatsApp After Reading Feature: કેવું લાગશે જો તમારો મેસેજ વંચાયાના માત્ર 15 મિનિટમાં જ આપમેળે ડિલીટ થઈ જાય? મેટાની લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ તેના ‘ડિસઅપીયરિંગ મેસેજ’ (Disappearing Messages) ફીચર માટે એક મોટું અપગ્રેડ લાવી રહ્યું છે. આ અપગ્રેડથી નવો મેસેજ વંચાયાના થોડી જ વારમાં ગાયબ થઈ જશે. આ ફીચરને “After reading” નામ આપવામાં આવ્યું છે. વોટ્સએપના આગામી ફીચર્સ પર નજર રાખતી વેબસાઇટ WABetaInfo એ આ અંગે લેટેસ્ટ રિપોર્ટ આપ્યો છે.
આ સેટિંગમાં મળશે After Reading નો ઓપ્શન
હાલમાં WhatsApp પર ડિસઅપીયરિંગ મેસેજ માટે યુઝર્સને ત્રણ ઓપ્શન મળે છે: 24 કલાક, 7 દિવસ અથવા 90 દિવસ. આનો અર્થ એ છે કે મોકલેલા મેસેજ આ નક્કી કરેલી સમયસીમામાં આપમેળે ગાયબ થઈ જાય છે. જોકે, OTP, વેરિફિકેશન કોડ કે અત્યંત ખાનગી માહિતી શેર કરવા માટે આ સમય ઘણો વધારે લાગે છે.
રિપોર્ટ મુજબ, વોટ્સએપ હવે “After reading” ઓપ્શન પર કામ કરી રહ્યું છે. આ એક એવો ટાઈમર સેટ કરશે જેનાથી મેસેજ રિસીવર (મેસેજ મેળવનાર) જોયા પછી તરત જ ગાયબ થઈ જશે, જેથી તે કોઈ ખોટા હાથમાં ન જાય.
મેસેજ માટે View Once જેવી સુવિધા
ખાસ વાત એ છે કે વોટ્સએપમાં ફોટા, વીડિયો અને વોઈસ નોટ માટે ‘View Once’ સુવિધા પહેલેથી જ છે. પરંતુ હવે આ નવું ફીચર સામાન્ય ટેક્સ્ટ મેસેજ માટે પણ સમાન સુરક્ષા પૂરી પાડશે.
15 મિનિટ પછી ડિલીટ થશે મેસેજ
આ આગામી અપડેટ સાથે યુઝર્સને નવો મેસેજ ટાઈમર ઓપ્શન મળશે. જ્યારે યુઝર આ ઓપ્શન પસંદ કરશે, ત્યારે:
મેસેજ મોકલ્યાના 15 મિનિટ પછી તે તમારી ચેટમાંથી ડિલીટ થઈ જશે.
સામેવાળી વ્યક્તિ જેવો મેસેજ વાંચશે, તેના બરાબર 15 મિનિટ પછી તેની ચેટમાંથી પણ તે ગાયબ થઈ જશે.
યુઝર્સ આ ટાઈમર દરેક ચેટ માટે અલગથી અથવા બધી ચેટ માટે એકસાથે સેટ કરી શકશે.
જો મેસેજ ન વંચાય તો?
જો સામેવાળી વ્યક્તિ મેસેજ ન વાંચે, તો તે 24 કલાક પછી આપમેળે ડિલીટ થઈ જશે. નોંધનીય છે કે આ ફીચર ‘રીડ રિસીટ્સ’ (બ્લુ ટિક) બંધ હોય તો પણ કામ કરશે. મોકલનારના ફોનમાંથી મેસેજ 15 મિનિટમાં ગાયબ થઈ જશે, ભલે સામેવાળાએ તે વાંચ્યો હોય કે ન હોય. હાલમાં આ ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે અને ટૂંક સમયમાં રોલઆઉટ થઈ શકે છે.

